“જિંદગીની કીમતી મૂડી…સમય” રેખા પટેલ (વિનોદિની)
હા આધુનિક જમાનાની દોડમાં સમય ક્યારેક ઓછો પડે છે તે વાત સાવ સાચી છે. પરંતુ એનો અર્થ એવો નથી કે જરૂરી કામ અને પોતાના માટે કે પછી જરૂરીઆત માટે સમયને ના ફાળવી શકાય. સમય આપણી માલિકીની વસ્તુ છે. બસ તેનો કેવી રીતે કેટલો સચોટ ઉપયોગ કરવો એ આપણા હાથમાં રહેલું છે. આપણા સમય ઉપર બીજાની ઈજારાશાહી ના હોવી જોઈએ. નહીતો કાર્યદક્ષતા અને આઝાદી ગૂંગળાઈ જાય છે. ક્યારેક બહુ કુશળ એવા કારીગર કે વર્કરને સમયના પિંજરામાં કેદ કરવામાં આવે, તેમની કળા ને ટાઈમના ચક્રમાં બાંધવામાં આવે તો તેઓ પોતાની સો ટકા આવડત દેખાડી શકતા નથી. આમ થવાનું કારણ છે કે સમય તેમના ઉપર હાવી થઈ જતો હોય છે.
હવે સમય આપો સબંધોની જાળવણી માટે, દરેક સબંધ સમય માગે છે એ પછી નજીક નો હોય કે દુરનો. દરેકની સાથે તેમની જરુરીઆત પ્રમાણે એક ક્વોલીટી ટાઈમ પસાર કરવો મહત્વનો છે. આ કારણે સંબંધોમાં તાજગી અને મીઠાશ જળવાઈ રહે છે. અને ગેરસમજની દીવાલ સર્જાતી નથી. સંબંધોમાં મેચ્યોરીટી વધશે અને તેના કારણે આંતરિક ખુશી પણ આપોઆપ છલકાવા માંડે છે.
સમયની સાચી જરુરીઆત આપણા સંતાનોને હોય છે. આપણી પહેલી જવાબદારી આવતી કાલના ભવિસ્યને માટેની છે. માત્ર સમયની હાજરી થી ઘણા ખરા અંશે પુરી થઈ શકે છે. જે વ્યક્તિએ ખરેખર જીવનમાં કઈક અચીવ કરવું હોય આગળ વધવું હોય તો સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી છે. સમયની કિંમત નહિ આંકીએ તો ફેંકાઈ જાશું.
આજકાલ સમાજમાં ફેલાએલી એક મોટી કુટેવ છે. સોશ્યલ મીડિયા સાથેનો વધારે પડતો લગાવ. કેટલાકને વારંવાર સ્માર્ટફોન દ્વારા કે કોમ્યુટર દ્વારા વોટ્સઅપ અને ફેસબુક કે ટ્વીટરને ચેક કરી લેવાની અને સતત સંપર્કમાં રહેવાની ટેવ હોય છે. અહી આવતી પોસ્ટમાં અને ગોસીપમાં વધારે રસ રાખવાના કારણે પોતાના કાર્યને બદલે બીજા પાટે ચડી જાય છે અને તેમના કિંમતી સમયનો વ્યર્થ બગાડ કરે છે.
આજના ડોટકોમ યુગમાં ઈન્ટરનેટ જગત સાથે જોડાઈ રહેવું જરૂરી છે પરતું તેને કમજોરી બનાવવાને બદલે સફળતાની સીડી તરીકે વાપરવું જોઈએ. જરૂરીઆત પ્રમાણે તેનો ઉપયોગ આગળ વધવામાં ચોક્કસ મદદરૂપ થશે. આ આપણે સમજીને બાળકોને શીખવવું બહુ જરૂરી છે. કારણ આજ કુટેવને કારણે બાળકો પણ પોતાનો મહત્વનો સમય બરબાર કરી રહ્યા છે. સ્માર્ટફોન ઉપર કલાકો વ્યતીત કરે છે. આ શું છે? તેઓ અહી થી શું મેળવે છે? બાળકો આપણને જોઇને શીખે છે માટે વધારાનો સમય હોય ત્યારે તેમની સાથે વ્યતીત કરવો જોઈએ નહિ કે બીજી નકામી પ્રવૃત્તિ પાછળ.
દરેક વ્યક્તિએ પોતાના શોખ માટે ખાસ સમયની ફાળવણી જરૂરી છે. પુરુષો પોતાના શોખની જાળવણી આસાની થી કરી શકે છે. પરંતુ સ્ત્રીઓ માટે આગવા શોખ માટે અલગ સમય ફાળવવો મુશ્કેલ બની જતો હોય છે. તેમાય લગ્ન પછીની વ્યસ્તતા સ્ત્રીને બધુજ ભૂલવા કે મન મારીને જીવવા મજબુર કરી દે છે. આવા સમયમાં સ્ત્રીનું અસ્તિત્વ ખોરવાઈ જાય છે. સાંસારિક જવાબદારીઓ પૂરી કર્યા પછી દરેક સ્ત્રીએ પોતાના મૃતપાય બનેલા શોખને જીવંતતા આપવી જોઈએ. કારણ આ શોખ જયારે જીવનમાં ક્યારેક એકલતા આવે ત્યારે તેને સહારે ખુશી હાસિલ કરી શકે છે. જીવન તરફ ની અભિગમ હકારાત્મક બને છે. ક્યારેક આપણી ખુશી માટે સમયની ચોરી કરતા પણ શીખવું જરૂરી છે. આપણે ખુશ રહીશું તો બીજાને એ ખુશી બમણી કરી આપી શકીશું. માટે આપણે આપણી જરૂરીઆત પહેલી સમજવી જોઈએ.
” વ્યક્તિને ખરેખર જીવનમાં કઈક અચીવ કરવું હોય , આગળ વધવું હોય તો તેણે સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી બની જાય છે. સમય કોઈની માટે કદી પણ રોકાયો નથી અને ગમે તેટલી મોટી કિંમત ચૂકવશો તો પણ એ રોકાશે નહિ”. ” હાથમાં રહેલો સમય માત્ર જિંદગીની કીમતી મૂડી છે. આથી આજ “મળતા સમયને ઉત્સવ સમજી માણી લેવો જોઈએ.ભૂતકાળની ભવ્યતા અને ભવિષ્યકાળની લાલસાને છોડી આજને સ્વજનો સાથે ઉજવી લેવો ખાસ જરૂરી છે. નહીતર સમય સાચેજ ઉડી જશે કદીયે હાથ નાં આવવા માટે”.
રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)