RSS

Monthly Archives: April 2018

ફૂલોની મહેક સમી આ જીંદગી- રેખા વિનોદ પટેલ(ડેલાવર)યુએસએ

આજથી ચાલીસ પિસ્તાળીસ વર્ષ પહેલાંનું અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું હતું. આવા અમદાવાદમાં સોહનચંદ રાયચંદ નામના યુવાને કાપડ ઉદ્યોગમાં ઝંપલાવવાનો વિચાર આવ્યો અને તે માટે નાનકડી મિલ સ્થાપવાનું વિચાર્યું.

શેઠ રાયચંદનો એકનો એક પુત્ર હોવાના ફાયદા રૂપે સોહનચંદને લંડન જઈ તાલીમ મેળવવાનું અહોભાગ્ય મળ્યું હતું. ત્યાંથી શીખેલું જ્ઞાન અને શિષ્ટતા પાલન તેને અહીંયા બરાબર કામ આવી રહ્યા હતા. સોહનચંદનાં પિતા શેઠ રાયચંદની અમદાવાદમાં કાપડની ધમધોકાર ચાલતી બે દુકાનો હતી.એનાં દીકરા સોહનને તો બસ કાપડ બનાવવામાં રસ હતો અને તે માટે તેણે બરાબર કમર કસી હતી

સોહનચંદે અમદાવાદ નજીક ગામડામાં આવેલી બાપદાદાની જમીનો વેચી, કેટલાક મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા અને પાસે પડેલી બધી જ મૂડી આ સ્વપ્ન યજ્ઞ માટે લગાવી દીઘી. તેના આ કાર્યમાં નવી પરણીને આવેલી પરણેતર ગાયત્રીએ પોતાની સાથે લાવેલા દાગીના પણ સ્વેચ્છાએ આપી એક અર્ધાગીની હોવાની ફરજ અદા કરી હતી.

સોહનને કોઈ આર્થિક કારણોસર બંધ પડેલી એક મિલ સસ્તા ભાવે મળી ગઈ. ત્યારથી સોહનચંદમાંથી શેઠ સોહનચંદ થવાના સફરની શરૂવાત થઇ હતી. રાત દિવસ જોયા વિના નાના પાયે કરાએલી મિલને તેણે પ્રગતિના પંથે દોડતી કરી દીધી.

સો કામદાર થી શરુ થયેલી તેમની મિલ બે વર્ષમાં તો એક હજાર કામદારનો આંકડો આબી ગઈ, સાથે વાર્ષિક વેચાણનાં આકડાઓમાં પણ પંદર ગણૉ વધારો થયો. બે વર્ષનાં ગાળાં સૌ કોઇને અંચંબિત કરી દેતી પ્રગતિ કરી હતી. માત્ર બે વર્ષમાં હવે એ શેઠ સોહનચંદ તરીકે જાણીતા બની ગયા.

શેઠ માત્ર રૂપિયા પૈસાને મહત્વ આપતા એવું નહોતું. તે જાણે શિષ્ટતા અને સમય સૂચકતાના પણ જબરા આગ્રહી હતા અને આજ કારણે તેમની મિલનાં મજદૂરથી લઇ કર્મચારી સુધ્ધાં સમયસર આવુઈ જતા. કારણકે જો કોઈ મોડા પડે તો તેની આખા દિવસની રોજગારી કપાઈ જતી. કેટલાક છાને ખૂણે કહેતા કે “શેઠ ઘડિયાળ ગળી ગયા છે અને હવે કાંટા ઉપર જીવે છે”.
આમ છતાં તે અહી કામ કરતા કામદારોમાં પ્રિય હતા. તેનું કારણ હતુ કે શેઠ કડક હોવા છતાં ઉદાર વ્યક્તિત્વના માલિક હતા. બહાર સખત નાળીયેર જેવા અંદર મુલાયમ કોપરા જેવું હ્રદય હતું.

લંડન તાલિમ પામી હોવાથી વર્કર વેલફેર અને અન્ય સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખતા હતાં. મિલમાં કામ કરતા મજુરોની પ્રાથમિક સારવાર માટે દવાખાનું અને નાના બાળકો માટે ખાસ બાલમંદિર જેવું મિલની પાછળના ભાગમાં બનાવડાવ્યું હતું. જેથી અહી કામ કરતા માતાપિતાને તેમના નાના બાળકોની ચિંતા નાં રહે અને બાળકોનો પ્રાથમિક પાયો પાકો બને. તે માનતા હતા કે પાયો પાકો અને મજબુત હશે તોજ ઈમારત ટકી રહેશે. વધારામાં અહી કામ કરતા કામદારોની ઘાર્મિક લાગણીઓ ને પણ ઘ્યાનમાં રાખી નાનકડા મંદિરની બાજુમાં મુસ્લિમ કામદારો નમાજ પઢી શકે એવી નાની મસ્જીદ પણ બંધાવી હતી.જ્યાં દરેક પ્રસંગોને તહેવારોને સાથે મળી સાથે ઉજવવાની નેમ હતી. આ જ કારણસર અહી કોમી એકતા દેખાતી હતી. સાથે દરેકની કાર્યશક્તિ પણ એક બની વધતી જતી હતી.

વધારે પડતી મહત્વકાંક્ષા તમને તમારા પોતાનાઓથી અલગ રાખે છે. તે વાત સોહન ચંદ ભૂલી ગયા હતા. તેમનું બધુજ ઘ્યાન પૈસા અને શાખ કમાવવા પાછળ હતું. તેમને મન આબરુની બહુ કિંમત હતી. શેઠ રાયચંદનાં અવસાન પછી તેમને બાપદાદાની દુકાન જ્યાં હતી ત્યાં તેમનાં રીટેઇલ શોરૂમ શરૂ કર્યા હતાં. તેમની મિલનાં ઉત્પાદન અને માલની ગુણવત્તાનું નામ હતું. બંધ પડેલી નાનકડા પાયે શરુ થયેલી મિલ હવે સોહન મિલના નામે જાણીતી બની ગઈ હતી. એ જમાનાંમાં કાચા માલ માટે રૂમાંથી દોરા બનાવવા માટે સ્પીંડલ મશીનો વસાવવાં એક સપનાં જેવું હતુ. ત્યારે એને જર્મનીથી ખાસ સ્પીંડલ મશીનો બેસાડીને કાચા માલ બનાવવાની એક જુદી ફેકટરી નાંખી દીધી.

કામમાં ડૂબેલા રહીને શેઠ પરિવાર સાથે કૌટુંબિક કારણ વિના ક્યાય બહાર જતા નહિ. ના મોજ શોખ અને ના કોઈ વેકેશન…તેઓ હંમેશા કહેતા “અત્યારે કામ કરવાના દિવસો છે. હરવાં ફરવા માટે આખી જિંદગી પડી છે.”

બહારની માફક ઘરમાં પણ તેમની શિસ્તતાની ધાક પ્રસરતી જતી હતી ઘરના નોકરોથી લઇ ગાયત્રીબેન , દિકરો ઘવલ સોહનચંદના ઘરમાં આવતાની સાથે યાંત્રિક બની જતા. વધારે પડતી મીઠાશ કે છૂટ જેમ ઝેરનું કામ કરે છે એ જ રીતે વધુ પડતી કડવાસ કે બંધન બળવાનું કામ કરે છે.

હવે ઘવલ દસ વર્ષનો થઇ ગયો હતો. પહેલા તે પિતાજીનાં ગુસ્સાથી તેમની ડાંટ ડરતો હતો. પરંતુ હવે સમાજણો થતા તે પિતાજીની વાત સામે પોતાનો વિરોધ નોંધાવતો થઇ ગયો. સોહનચંદ શેઠને આ વાત ખૂંચતી હતી આથી પોતાના જેવી શિષ્ટતા શીખવવાના હેતુ થી એકના એક દીકરાને નાની વયમાં દેહરાદૂનની કોન્વેન્ટ સ્કુલમાં મોકલી દીધો. તેમની ઇચ્છા તો ધવલને પરદેશ મોકલવાની હતી પરંતુ ગાયત્રીબેનની સ્ત્રી હઠ સામે તે ઝુકી ગયા.

સોહનચંદ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા અને ગાયત્રીબેન ઘરમાં નોકરો સાથે એકલા રહી જતા. આથી સમયાંતરે દીકરાને મળવા પ્લેનમાં દહેરાદુન પહોંચી જતા. દરેક સબંધમાં નજીદીકી અને વાતચીતના દોર જેટલા વધારે રહે તેટલા લાગણીના તંતુઓ મજબુત રહેતા હોય છે. સોહન શહેરની બહાર ભણતો હોવા છતાં મા દીકરા વચ્ચે પ્રેમ અકબંધ રહ્યો હતો.પરંતુ સોહનચંદની વ્યસ્તતાને કારણે પુત્ર તેમનાથી દુર થતો ગયો વધારામાં તેના નાનકડા મગજમાં ઘુસી ગયું હતું કે પિતાજીની જીદને કારણે તેને વહાલસોઈ માતાથી દુર રહેવું પડે છે.

હવે ઘવલ ફક્ત ઉનાળાની રજાઓમાં ઘરે આવતો હતો. જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે આખો દિવસ તે માતા સાથે અથવા જુના મિત્રો સાથે વિતાવી દેતો. આ દરમિયાન બહુ ઓછો સમય તે શેઠ સોહનચંદ સાથે વિતાવતો અને સમય થતા પાછો ચાલ્યો જતો. આમજ સમય ઉડતો રહ્યો. ઘવલ દહેરાદુનથી સીધો આગળ ભણવા માટે સીધો અમેરિકા બોસ્ટનની યુનીવર્સીટીમાં પહોચી ગયો. તેના જવાની બહુ મોટી અસર ગાયત્રીબેન ઉપર પડી હતી. તે બધી સુખસાહબી વચ્ચે પણ એકલતા અનુભવતા હતા અને સોહનચંદ કામમાં વધુને વધુ ખુંપતા જતા હતા આમ ને આમ સોહનચંદે આ વર્ષે બાસઠ બર્ષ પુરા કર્યા .

બે વર્ષ પછી એક દિવસ અચાનક ધવલનો ફોન આવ્યો.
“મા,પિતાજી જય શ્રી કૃષ્ણ ,મારે તમને એક ખાસ વાત કરવાની છે ” ઘવલે વાતની શરૂવાત કરી
“હા બેટા, બોલને” ગાયત્રી બેન દીકરાનો ફોન આવતા ખુશ થઇને બોલ્યા.
“મા …..,તારા માટે મે વહું શોધી લીધી છે. હું મિતાલીને પસંદ કરું છું. તે ગુજરાતી છે. તેના પિતા રાજેશભાઈ અહીના મોટેલ કિંગ છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. મા……તેની એક શરત છે કે તે ઇન્ડીયામાં આવી અમદાવાદમાં સેટલ નહી થાય. અને મારે પણ અહીજ સેટલ થવું છે. ”

ધવલની આ વાત સાંભળીને ગાયત્રીબેન દુઃખી થઇ ગયા.” બેટા……,તારા વગર અમારું શું? તું એકમાત્ર અમારો અને તેમાય મારો સહારો છે” આટલું બોલ્યા પછી ગાયત્રીબેનની આંખો ભીની થઇ ગઇ.

“મા હું સમજુ છું,તારી વાત પણ સાચી છે , પણ હું મિતાલી વિના નહિ રહી શકું અને ત્યાં આવીને મારે પિતાજીના હાથ નીચે જ કામ કરવું પડશે જે મને મંજુર નથી.જો તું મને પ્રેમથી અને ખૂશીથી હા કહે તો સારું.”ઘવલે માતાની મમતાની આડ લઇને છેલ્લો દાવ ફેક્યો … તે જાણતો હતો કે મા તેની ખુશીમાં ખુશ થશે અને પિતાજી તો આમ પણ કામમાં ખુશ રહે છે.

બન્યું પણ એ જ જે ધવલ ધારતો હતો. ગાયત્રીબેન અને સોહનચંદે દીકરાની ખુશીને પોતાની ખુશી શોધી લગ્ન માટે હા કહી અને બંનેને લગ્ન કરી થોડો સમય ભારત આવવા જણાવ્યું.

ઘવલ અને મિતાલી મહિના માટે ઇન્ડીયા આવી થોડો સમય અમદાવાદ અને થોડો સમય ભારત દર્શન કરી પાછા પોતાના અલગ બનાવેલા માળામાં અમેરિકા પહોચી ગયા.જેટલા દિવસ ધવલ અને મિતાલી અહીં રહ્યા એ દિવસો ગાયત્રીબેનના જીવનનાં સુખ દીવસો હતા અને પહેલીવાર શેઠ સોહન ચંદે મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવ્યો હતા અને ત્યારે પહેલી વાર તેમને અહેસાસ થયો કે આટલું મેળવવામાં ઘણું ગુમાવ્યું છે.પહેલીવાર પત્નીના લાંબા કાળા વાળમાં સફેદીની ઝાંય જોઈ હતી. તેના ગોરા ચહેરા ઉપર ઝીણી કરચલીઓનું બંધાતું જાળું જોયું હતું અને આંખોમાં એક ખાલીપો પણ અનુભવ્યો હતો , અને દીકરાને બચપણથી લઇ જુવાનીના વેશમાં પલોટાતો જોવાનો મોકો ચુકી ગયાનું દુઃખ તરવરી ઉઠ્યું હતું.

એક રાત્રે પાછલા વર્ષોનું સરવૈયું કાઢતાં સોહન ચંદે એક નિર્ણય લીધો “બસ હવે બહુ થયું હવે બાકીની જિંદગી હું ગાયત્રી સાથે શાંતિથી વ્યતીત કરીશ”

બીજા દિવસની સવારે આકાશ આખું ગોરંભાએલું હતું. કાળા વાદળાઓ સૂર્યને ઢાંકવાની કોશિશ કરતા હતા અને આ વરસું વરસું કરતો વરસાદ કોણ જાણે કોની પ્રતીક્ષામાં અવઢવમાં હજુય ઘેરાએલો હતો.

હંમેશની માફક વહેલી સવારે ગાયત્રીબેન થોડીવાર પ્રાણાયામ કરીને નાહી પરવારીને પૂજાઘરમાં ગયા. તે પૂજા વિધિ સંપન્ન કરીને પાછા આવે છે ત્યારે રોજની જેમ સોહનચંદ બહાર બાલ્કનીમાં બેસી પ્રાણાયામ કરતા હોય કે પછી હળવી એકસરસાઈઝ પતાવતા હોય આ છેલ્લા દસ વર્ષથી ચાલતો નિયમ હતો. પણ આજે કોણ જાણે સોહનચંદ હજુ પથારી છોડી બહાર આવ્યા નહોતા. કદાચ વાતાવરણની અસર હશે એમ સમજીને ગાયત્રીબેન રાહ જોઈ બેસી રહ્યા. પરંતુ એને સોહનચંદનાં રૂમમાંથી ઉહાકારો સંભળાતા તે અચાનક ચમકી ગયા. રૂમમાં જઈને જોયું તો સોહનચંદ શેઠનું શરીર તાવમાં તપતું હતું. તેમણે ફેમિલી ડોક્ટરને ફોન કરી દીઘો અને સોહનચંદને માથે ઠંડા પાણીના પોતા મુકવા બેસી ગયા.

ફેમિલી ડોકટર શાહ તુરંત આવી ગયા. તેમણે તાત્કાલિક સારાવાર આપી અને તેમનું બ્લડ ટેસ્ટ માટે મોકલી આપ્યું અને જતા જતા કહેતા ગયા,”ગાયત્રીબેન,ચિંતા ના કરશો. હું કાલે રીપોર્ટ આવશે એટલે જાતે જ આવી જઈશ અને કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો.”

આજે પહેલી વાર શેઠ મિલ ઉપર ગયા નહી. આખો દિવસ આરામ કર્યો.અચાનક શું થયું હશે તે પણ વિચારમાં પડી ગયા હતા!! બીજા દિવસે પણ અશક્તિ લાગતી હતી અને ડોક્ટર શાહના કહ્યા મુજબ આજે પણ તેમને આરામ કરવાનો હતો.બપોર થતાં ડોક્ટર જાતે બંગલે આવી પહોચ્યા.
“કેમ છો સોહન શેઠ મઝામાં છો ને” ડૉ.શાહ હસતા બોલ્યા તે શેઠના મિત્ર હતા ,
શેઠ ડોક્ટર મિત્રની ફિક્કી હસીને જાણી ગયા “બોલો…..,રીપોર્ટ શું કહે છે.વિના અસંકોચે મને જણાવો, મરીઝથી દરદ છુપાવશો તો તે ઈલાજ કેમ કરી કરાવશે” સોહનચંદ સાહજિક થઈ બોલ્યા….

“હા મિત્ર મારે તમને કહેવુ જ પડશે કારણકે આ વાત ભાભીજીને હું કહી શકું તેમ નથી અને ધવલ પણ દેશમાં નથી. તમને હાડકાનું કેન્સર છે અને તે પણ છેલ્લા સ્ટેજનું બહુ ઝાઝો સમય હાથમાં નથી રહ્યો. છતાં પણ હું મારાથી બનતી કોશિશ કરીશ તમે હિમત નાં છોડશો , પરતું એક વાત કહો કે આટલી સ્થિતિ કાબુ બહાર થઇ પણ તમને જરાય સરખી ગંધ નાં આવી?” ડોકટરે પૂછ્યું

“ડોક્ટર ભારે કરી!આજે પહેલી વાર તમને મારી સારવાર કરવાનો મોકો આપ્યો અને તેમા પણ તમે પીઠ બતાવી ? ચાલો કઈ નહિ જેવી ઉપરવાળાની મરજી. બાકી છેલ્લા મહિનાથી મને થાક વરતાતો હતો.થોડું શરીર કળતું હતું. પરંતુ ધવલ સાથે સમય વિતાવ્યા પછી કામનું ભારણ વધી ગયું હતું તો મેં બહુ ઘ્યાન નાં આપ્યું.” સોહન શેઠના અવાજમાં પહેલી વખત કંપતો હતો.

કંપતા અવાજ પર કાબુ મેળવી ને સોહનચંદ બોલ્યા,”ભલે ડૉકટર….,જેવી ઈશ્વરની મરજી. પણ ડોક્ટર તમે હમણા ગાયત્રીને કઈ નાં જણાવતા.હું ખુદ સમય આવ્યે જાતે જણાવીશ”.

“ભલે પણ તમે સમયસર મારી હોસ્પીટલમાં ચેક અપ માટે આવજો. ત્યાંજ ડોક્ટર જેસ્વાનીની સારવાર શરુ કરી દઈશું.” કહીને ડોક્ટર ઉઠ્યા.

ડૉકટર વિદાય થતા,સોહન શેઠે વિચારમાં પડી ગયા.આજ લગી બધા સુખ ચેન ભૂલી માત્ર નામ અને પૈસા માટે જીવ્યો અને તેમા હું ભૂલી ગયો કે સમયનું કેટલું મહત્વ છે? આજ સુધી માનતો હતો કે થાય ત્યાં સુધી કામ કરી લેવા દે પછી શાંતિથી જીવીશ …પણ હવે ક્યા સમય છે.શાંતિ ક્યા છે? હવે આ અઢળક ધનને શું કરવાનું? કાલ કોણે દીઠી હતી? સમયના રહેતા બધું ભોગવ્યું હોત તો આજે આ અફસોસ નાં રહેત. હવે એને આજે તેમણે નક્કી કરી લીધું કે સમય તો રહ્યો નથી કે હું આ ધનને વાપરી શકું. પંરતુ એવું કઈક કરુ કે મારી મહેનતનું ઘન સત્કર્મમાં વપરાયાનું સંતોષ રહે.

દીકરાને તો આ રૂપિયાની જરૂર નથી અને ગાયત્રીને ઘનનો કોઈ લોભ નથી. કંપનીના સાઈઠ ટકાના શેર પોતે રાખી બીજા બધા શેર મિલના જુના અને વફાદાર કામદારોમાં વહેચી આપ્યા.

હવે પાસે પડેલા ઘનને જરુરીયાત વાળા સુધી પહોચાડવાનું બીડું હાથમાં લઇ શહેરની અલગ અલગ સંસ્થાઓમાં નીકળી પડ્યા. સીધા તે અનાથાશ્રમમાં ગયા. બહાર પ્રાંગણમાં મોંઘીદાટ વિલાયતી ગાડીને પાર્ક કરી નીચે ઉતર્યા.પહેલીવાર અહી આવતા હતા. તેમના મનમાં એમ હતુ કે બિચારા લાગતા બાળકો વિલા મ્હોએ અહી બેઠેલા જોવા મળશે.પરંતુ તેમની કલ્પનાથી વિરુદ્ધમાં ખીલખીલાટ હસતા રમતા બાળકોને નાં આજની ચિંતા હતી ના કાલની ફિકર. તેમની સાથે વાતો કરતા સમજાયું કે તેમને પૈસા કરતા પ્રેમની જરૂર વધુ હતી. મનની ઈચ્છા પૂરી કરવા જરૂરી દાન આપ્યું.

પછી વૃધ્ધાશ્રમમાં ગયા, ત્યાં પણ જોયું કે કેટલાક વૃધ્ધો ભેગા મળી હરિભક્તિ કરતા હતા કેટલાક જીવનની ખટમીઠી વાતો મમળાવતા હતા. કેટલાક પોતાનાઓથી તરછોડયાનું દુઃખ વળગાળી બેઠા હતા. તેમને કાલની ચિંતા પણ નહોતી રહી. શેઠે નોંધ્યું કે આ બધાને પણ પૈસા કરતા પ્રેમની જરૂર વધુ હતી..

આમ તે જ્યાં જ્યાં જતા બધે તેમને પ્રેમનું મહત્વ વધુ લાગતું હતું. બસ એક ભૂખ પાસે અને દવાખાનાંના પગથિયાં ચડતાં પૈસો ઉંચે ચડતો હતો. આથી સોહનચંદે સારો એવો હિસ્સો ભુખ્યાના ભોજન માટે અન્નક્ષેત્ર બંધાવવા માટે અલગ રાખ્યો.

હવે તે ગાયત્રીબેન સાથે વધુ સમય વ્યતીત કરતા હતા. તેમની સાથે સગાવહાલાના ઘરે પણ જઈ આવતા હતા… બધાને સોહનશેઠના આવા બદલાતા વર્તનથી આશ્ચર્ય થતું હતું. પણ બધા ખુશ હતા કે ચાલો હવે શેઠ વ્યવહારુ થતા જાય છે.

સોહનશેઠના અચાનક બદલાવને કારણે ગાયત્રીબેનને નવાઈ લાગતી હતી.તે સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે!!!! બહુ પૂછતા સોહનચંદે ગાયત્રીબેનને સાચી વાત જણાવી દીધી. સોહનચંદ શેઠની વાત સાંભળીને પહેલા તો ગાયત્રીબેન બહુ રડ્યા,પણ તે બહુ હિંમતવાળા હતા. તેમણે તરત ધવલને ફોન જોડ્યો અને બધી વાત કહી સંભળાવી બદલામાં દીકરો વળતી ફ્લાઈટે અમદાવાદ આવી ગયો. શેઠની આંખોમાંથી પહેલી વાર પાણી નીકળી આવ્યા. જે દીકરાને અને પત્નીને જરા સરખો સમય નહોતો આપ્યો તે તેમનું બધું કામ છોડી આજે મારી પાસે ઉભા છે …

પિતાજી તમે જરાય ચિંતા નાં કરો તમને કશુય નથી થવાનું જુવો અહી સિવિલ હોસ્પીટલના કેન્સર ડીપાર્ટમેન્ટનાં હેડ ડોક્ટર મિતાલીના મામા છે. આપણે આજે જ ત્યાં જઈને તમારું ચેક અપ કરાવી આવીએ. બધા ચેકઅપ અને બ્લડ ટેસ્ટ પછી ડોકટરે ધવલ અને સોહન શેઠને ફરી બોલાવ્યા.”જુઓ સોહન ભાઈ…..,તમે ખુશ થાઓ.તમને કશુ જ નથી થયુ. તમારો બ્લડ રીપોર્ટ બીજા પેશન્ટ સાથે બદલાઈ ગયો હશે.તમે એકદમ તંદુરસ્ત છો.”

ડૉકટરે સચ્ચાઇ જણાવતા બધા ખુશ થયા. સહુથી વધારે ખુશ શેઠ સોહન ચંદ હતા કે ડોક્ટરની એક ભૂલે તેમને જિંદગીનો સાચો આયનો બતાવી દીધો,અને તે સમજી ગયા કે પૈસાનું મહત્વ છે. પરંતુ ફૂલોની મહેક સમી જિંદગી કરમાઈ જાય તે પહેલા જીવી લેવી જોઈએ.ના જાણે સમય ક્યારે દગો દઈ જાય.