RSS

Monthly Archives: May 2020

એક પત્ર કૃષ્ણનો… રાધાને

એક પત્ર કૃષ્ણનો રાધાને” – રેખા પટેલ (ડેલાવર )

રાધે તું ક્યાંય નથી છતાંય સર્વત્ર છો
પ્રેમથી ડૂબાડૂબ છો, તોય પવિત્ર છો.

પ્રિય સખી, પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી, પરંતુ પ્રેમમાં મબલખ આપતા રહેવું ખાસ જરૂરી છે. સમર્પણ અને અપેક્ષા વિહિન પ્રેમ એ દુનિયામાં અદભુત ઘટના છે. અને એથી તો હું તારા નામથી ઓળખાઉં છું, પહેલા તું અને પછી હું આવું છું. “રાધા કૃષ્ણ”માં તારા નામ પાછળ મારું નામ આવે છે.
એક માત્ર પ્રેમ જે માગ્યા વિના સર્વસ્વ આપતો હોય છે. પામ્યા વિના બધુજ પામતો હોય છે.

હું તને ચાહું છું એ તો જગ આખું જાણે છે. પ્રેમમાં બંધાઈને હું તારી પાસે નથી રહ્યો, પ્રિયે તેનું કારણ છે, મારી માટે પ્રેમની વ્યાખ્યા જગત કરતા અલગ છે. હું માનું છુ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. માલિકીનો ભાવ સ્નેહમાં સાંકળ બને છે. તારો અને મારો સ્નેહ તો હવા અને સુગંધ જેવો છે. તારા વિના મારી ઓળખ નથી. હું તારી સાથે શ્વાસોના બંધનથી જોડાએલ છું, સતત ચાલતી આ પ્રક્રિયા એ આપણો જીવંત પ્રેમ છે, એના લયમાં આપણો મેળાપ છે. હું દુર રહીને પણ આપણા અલગ લાગતા અસ્તિત્વને હું પ્રેમ કરતો રહુ છું.

હું યુગોથી તને ઝંખું છું, આથી તું મારા કર્મોમાં, વિચારોમાં અને શ્વાસોનાં સાતત્યમાં સતત સાથે હોય છે. આજ કારણે મને તારી કદીયે ખોટ પડી નથી. તારી દૂરતા મારા પથમાં કંટક બની નથી.
તું ભક્તિ છે હું શક્તિ છું, તું મોરલી હું સંગીત છું, તું મારા મહી અને હું તારા મહી છું. આપણી એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની અપ્રદૂષિત સંવેદનાઓને હું પ્રેમ કરું છું.

સખી, હું તો બસ એટલુજ જાણું છું કે તને ચાહુ છું. તું પાસે નથી તો તને યાદ કરીને હું મારી હૈયામાં સજાવેલી તારી છબીને મનની આંખો થી અપલક જોયા કરૂં છુ. મારામાં રહેલો બાળક કાન તારી સાથે વિતાવેલી દરેક ક્ષણોને ફરી ફરી જીવે છે. અને એજ કારણે હું ઉદાસ નથી. તારા વિરહમાં આ આંખોમાં ભીનાશ નથી.

તું હતી ત્યારે તારી ક્ષણ ક્ષણની હાજરીને મેં મારા અંતર મહી ઉતારી હતી. તારી એક એક કલ્પનાને ઉમંગથી પકડી મારા મોરપિચ્છમાં સજાવી હતી. તારા આંસુ અને હાસ્યને આંખોની ભીનાશમાં ભર્યા હતા, તારા એક એક ધબકારને મારા ઘબકારોની વચમાં પૂર્યા હતા. સખી આજે આ બધું જીવનદોરી સમું બનીને મારી સાથે રહ્યું છે.
જેમજેમ સમય વીતતો જાય છે તેમતેમ હું મારા ફેફસામાં પુરાએલા શ્વાસો થી શ્વસુ છું. જ્યાં સુધી હવા એનું નૃત્ય બતાવશે, જ્યાં સુધી નદી સગીત સંભળાવશે અને જ્યાં સુધી સૂર્ય ચાંદ તેમનો પ્રકાશ લહેરાવશે ત્યાં સુધી હું આ પ્રક્રિયા ચાલુ રાખીશ. એ શ્વાસોની ખોટ પડતા હું તારા મહી લીન થઇ જઈશ. આપણું એકત્વ એજ આપણું કાયમી મિલન થઇ રહેશે.

તારી ઉછળતી ઉર્મીઓને મેં મોરલીમાં કેદ કરી હતી. એ ઉર્મીઓને સાચવી રાખવા, ક્યાંય રેલાઈના જાય એ ભીતિને કારણે મોરલીના સુર હું હવે રેલાવતો નથી. કમરબંધ માં મારા દરેક કર્મની સાક્ષી બની વળગેલી રહે છે.
રાધા દુલારી સમાજના વાડા તને આંતરે છે તેમ કર્મોના બોજ તળે મારે પણ ભીસાવું પડે છે. આપણે ભાગ્યના હાથે ચાલતા રમકડા થઈને તેના ઇશારે કેમ જીવવું એ જગતને બતાવવું છે. હવે તને નજરોથી નિહાળવાનું ભાગ્યમાં નથી રહ્યું, પરંતુ પ્રેમ એતો આત્માનો અહેસાસ છે.” મનના આ મહેકતા ઉપવનને સ્નેહ કેરા સમજણથી સીંચવું પડે છે. તને પ્રત્યક્ષ નિહાળ્યા પછી પણ સદેહે તું અને હું સાથે નથી થઇ શકવાના તો શું કામ અંતરના આનંદમાં અડચણ નાખવો. જે અંતરમાં સાથે હોય તેને ચર્મચક્ષુ થી નિહાળવાની મહેનત કરવાની ક્યા જરૂર છે.
હું પ્રેમ બધાને કરીશ પરંતુ ચાહીશ માત્ર તને. મારી માટે પ્રેમ કરવો અને ચાહવામાં માત્ર એટલુજ અંતર છે જેટલું અંતર માખણ અને પકવાનમાં, મોરલી અને સુદર્શન ચક્રમાં , મોરપીંછ અને મુગટમાં છે. મારા વિયોગમાં પણ તું મારી છે. વિરહ વિનાના પ્રેમમાં ક્યા મીઠાશ છે પ્રિયે. ભલે હું જગતનો સ્વામી છું એકસો આઠ પટરાણીઓનો ભરથાર છું પરંતુ પ્રેમી માત્ર રાધાનો છું. આ જગતમાં ખરી સાધના, આરાધના અને પ્રેમની સાચી મીઠાશ રાધા કૃષ્ણના પ્રેમમાં છે.
હિંડોળા ખાટે હું ભલે મહેલોમાં હીંચુ પણ યમુના તટે પૂર્ણીમાની રાત્રે રાસ માત્ર તારા સંગે જ આચરું છું. આગળીનાં ઇશારે સુદર્શન ચક્ર ઉપર દુનિયા ધુમાવું છું પરંતુ કાન માત્ર રાધા તારી કામણગારી આંખોને ઈશારે જ નાચ્યો છે.

તને યાદ કરીને કદી ના દુખી થવાનું વચન મેં મારી જાતને આપેલું છે. કારણ તારો અને મારો આત્મા એક છે. જો હું દુઃખી થઈશ તો અવશ્યપણે તેની અસર તારા સુધી પહોચશે. હું તને વધુ દુઃખી કેમ કરીને કરી શકું. મારા વિયોગનું દુઃખ જાણે અજાણ્યે સંજોગોને આધીન થઈને તારી મલમલી ઝોળીમાં આપીજ દીધું છે. બસ હવે નહિ, તારી ખુશીમાં મારી ખુશી માની હું સદાય તારી બંધ આંખો સમક્ષ હાજરા હજૂર જીવંત રહીશ. એ તને મારું વચન છે. એ માટે સહુ પ્રથમ રાધા પછી શ્યામ આવશે.

હા મન છે ! ક્યારેક યાદો બહુ ભારે બની જાય ત્યારે થોડી ઉદાસી જરૂર છવાઈ જાય છે. ત્યારે તને આપેલા વચન ” રાધે હું તારા મય બનીને ખુશ રહીશ ” ને યાદ કરી ખુશ થવાનો ફરીફરી પ્રયત્ન કરી લઉં છું.
મારા પ્રાણથી પણ વહાલી સખી તું પણ મને આપેલા એ છેલ્લા વચનને યાદ રાખી ખુશ રહેજે . તારા દુઃખે હું દુઃખી થઈશ એ વાતને વારંવાર યાદ રાખજે….રાધે રાધે.

રેખા પટેલ (વિનોદિની) ડેલાવર

 

ક્વોલિટી લાઈફ

ક્વોલિટી લાઈફ – રેખા પટેલ(યુએસએ)

સાચી ક્વોલિટી લાઈફ એટલે મનગમતી વ્યકતી સાથે ગમતું જીવન. અંતરમાં પ્રેમ અને સંતોષ બંને ભારોભાર હોય તોજ આવું જીવન જીવી શકાય છે. બાકી બહાર મળતાં અઢળક સુખ વચ્ચે પણ અધુરપ અનુભવાય છે….

જીવનની ગુણવત્તા ખૂબ જ જરૂરી વિષયવસ્તુ છે, એના ઉપરથી નક્કી કરી શકાય છે કે વ્યક્તિ માનસિક રીતે કેટલો સફળ છે. કારણ આર્થિક રીતે સફળ વ્યક્તિની ક્વોલીટી ઓફ લાઈફ એટલે કે ઉચ્ચતમ જીવનશૈલીથી જીવતી હોય તેમ માનવું ભૂલ ભરેલું છે.

આવી જીંદગી માટે સહુ પહેલા વ્યક્તિની શારીરિક તંદુરસ્તી, સંતોષી અને પ્રેમાળ સ્વભાવ, અંતમાં સમૃદ્ધિ આવે છે. છતાં કેટલાક માટે મનગમતી જીંદગી જીવવા માટે સહુ પ્રથમ ધનદોલત આવે છે. તેઓનું માનવું હોય છે કે સમૃદ્ધિ વિના સુખ મળતું નથી. જોકે આનંદદાયક જીવન જીવવા તંદુરસ્તી પહેલી જરુરિયાત છે. કારણ શારીરિક તંદુરસ્તી વિના આર્થીક સુખનો પુરતો આંનદ માણી શકાતો નથી.

સાવ સામાન્ય પરિવારમાંથી આવતા આશુતોષે ભણતા રહીને નોકરી કરી મહામહેનતે ડોક્ટર બન્યા બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા આવવાનું વિચાર્યું. વર્ષો પહેલા આગળ ભણવા માટે અમેરિકામાં સહેલાઈથી વિઝા મળી જતા. આમ અહી આવ્યા બાદ તેમણે ખુબ મહેનત કરી, એક ટંક ખાઈને ડોલર્સ ભેગા કરી ફી ભરતા. છેવટે અમેરિકામાં રેસીડન્સી માટેની પરીક્ષા પાસ કરી. એક ગરીબ વિદ્યાર્થીનું સ્વપ્નું સાકાર થયું. તેને લાગ્યું જીવનનું બધુજ સુખ મળી ગયું.

ત્યાર બાદ મેરીલેન્ડ સ્ટેટમાં સારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ. ત્યાજ કામ કરતી ડો. સુપ્રિયા સાથે પ્રેમ થઇ જતા પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયા. બધુજ બરાબર ચાલતું હતું. આ દરમિયાન ડોક્ટર તરીકે નામના મેળવવા અને ડોલર્સ એકઠાં કરવામાં રાત દિવસ કામ કરતા. લગ્ન જીવનના ફળ સ્વરૂપે દીકરી પ્રિયા અને દીકરા અંશ નો પણ જન્મ થઇ ગયો. છેવટે પતિપત્નીએ પાર્ટનરશીપમાં નાનકડી આગવી પ્રેકટીશ પણ શરુ કરી. હવે ઓવર ટાઈમ પણ કરી શકતા.

આ બધામાં જીંદગી કેમ જીવવી સાવ ભૂલી ગયા હતા. ક્યારે યુવાન થતા બાળકો, પત્ની કે ઓળખીતા કહેતા પણ ખરા ” તમારી પાસે જરૂરીયાત કરતા બધુજ વધારે છે, દર વર્ષે વધારે નહીતો એકાદ વિક પત્ની બાળકો કે ગમતા મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરો.
બદલામાં તે કહેતા બસ “બીજા દસ વર્ષ કામ કરી લઉં. સાઈઠ પછી નિવૃત્ત થઈ જઈશ. પછી મરજી પ્રમાણેની ક્વોલીટી લાઈફ એન્જોય કરીશ” જોકે આવું કહેનારા કદીયે નિવૃત્ત થતા નથી. એ માટે જાતેજ મક્કમ થઈને બધું નક્કી કરવું પડે છે. એવામાં પંચાવનની આસપાસ આવેલા જાણીતા ડોક્ટર આશુતોષને અચાનક બ્રેઈન સ્ટોક આવ્યો.. હોસ્પિટલ લઇ જતા સુધીમાં તેમનું શરીર લકવા ગ્રસ્ત થઈ ગયું. સદાય ચાલતા બંને હાથ અને પગ સાવ નિર્જીવ થઇ ગયા. ડોક્ટરોની મહામહેનતે બ્રેઈન રી કવર થયું, પરંતુ હાથપગમાં જીવંતતા આવી નહિ.
આજે આલીશાન મકાનમાં રીક્લાઈન બેડમાં આડા પડીને ટીવીમાં આવતી દુનિયાભરની વિવિધતાને માત્ર આંખોથી જોતા રહી સમયને ઠેલ્યા કરે છે. શું આને ક્વોલીટી ટાઈમ કહી શકાય? આ જે બધું નજરે નિહાળી શકવાની ક્ષમતા હતી. બધું ખરીદવાની તાકાત હતી, માણવાની શક્તિ હતી ત્યારે એ સમયનો સદુપયોય કર્યા સિવાય માત્ર સંપતિ એકઠી કરવામાં એ વ્યસ્ત રહ્યા.
આજે જ્યારે નર્યો સમય પાસે છે પણ સાથ આપે એવું શરીર ક્યા છે? પોતે અથાગ પરિશ્રમથી ભેગા કરેલા ડોલર્સને તેમની નજર સામે યુવાન બાળકો પોતપોતાના શોખ પ્રમાણે બે હાથે ખર્ચી રહ્યા છે. તે જોઇને ખુશ થવું કે દુઃખી થવું એ નક્કી કરી શકતા નથી.

એક અપંગ વ્યક્તિ કેટલી હદ સુધી જીવનની ઉચ્ચ ગુણવત્તાની જાણ કરી શકે છે? જ્યારે તંદુરસ્ત વ્યક્તિ જેની પાસે ધનદોલત કે નોકરી નથી તેનો જીવન તરફનો અભિગમ કેવો હશે?
બંનેના દુઃખ અને પરિસ્થિતિ અલગ છે છતાં સમસ્યાઓ યથાવત છે. ક્વોલીટી લાઈફ માટે આરોગ્ય, ભૌતિક સામાજિક સુખ, સાથે સંવેદનાઓનું જીવંત હોવું જરૂરી છે. આધુનિક જગતમાં શોખ પ્રમાણેનું મનોરંજન, શિક્ષણ અને આરામનો પણ સમાવેશ થઇ શકે છે. સ્વતંત્રતા, પણ જીવનને સુખ આપી શકે છે.
આ શબ્દ ક્વૉલિટી ટાઈમનો સાચો અર્થ કયો? એ માટે દરેકની વ્યાખ્યા અલગ છે. જયારે એક વ્યક્તિ જીવનની સંપત્તિ અથવા જીવનના સંતોષ અનુસાર જીવનની ગુણવત્તા દર્શાવી શકે છે ત્યારે અન્ય વ્યક્તિ લાગણી, સબંધો તથા શારીરિક સુખને ઉચ્ચ જીવન જીવવાની ક્ષમતા કહે છે.

આજકાલ ફેશનમાં પણ આ શબ્દ ઘણો સંભળાય છે. બે જણ કે કોઈ આખું ગ્રુપ સાથે સરસ મજાનો સમય પસાર કરે તેને ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો એમ કહેતા હોય છે. અહી તેમણે મનગમતો સમય પસાર કયો એવો અર્થ લેતા હોય છે. ક્વૉલિટી ટાઈમ એટલે એ સમય જેનો સંતોષકારક રીતે ઉપયોગ કરે છે.

આજના ભણેલા વર્ગને જીવન કેમ જીવવું એ બહુ સરસ રીતે આવડે છે. સમયના ટુકડાઓ એકઠાં કરીને અવિસ્મરણીય યાદો એકઠી કરી લેતા હોય છે. એક વખત હતો બાળકના જન્મ પછી છ મહિના સુધી પત્ની પિયરમાં રહેતી ત્યાં તેની અને બાળકની દેખભાળ ખૂબ જતનથી થતી. જન્મેલા બાળકને જરૂર વિના આગણાં માંથી બહાર પણ લઇ જવાતું નહોતું. ત્યાર બાદ પણ એ ખાસ્સું મોટું થાય ત્યાં સુધી ઘરના વડીલો તેને સાચવ્યા કરતા.

તેના બદલે આજે અમેરિકામાં તો બાળક મહીનાભરનું હોય અને માં બાપ સાથે વિમાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વેકેશનોમાં જતું થઇ ગયું છે. શોખીન અને ખર્ચાને પહોંચી વળે તેવા માતા પિતા પોતાના બાળકને વર્ષમાં ચાર પાંચ વેકેશન કરાવી લેતા હોય છે. કારણ તેમનું માનવું છે કે આજ ટાઈમ છે બાળકો સાથે પસાર કરવાનો. તેઓ એક પણ પળ એવી છોડવા માંગતા નથી જે મીઠી યાદોમાં વધારો કરે. આજ તેમની માટે ક્વોલીટી ટાઈમ છે.

દરેક વ્યક્તિના અંતરમાં કોઈ એક અતૃપ્ત ઈચ્છા જે જરૂરીયાત રહેલી હોય છે જે પૂરી કરવા માટે છેવટ સુધી મહેનત કરવી પડે છે. ખખડધજ પુલ ઉપર ચાલતી રેલગાડીની માફક ધુજતી ખડખડ થતી જીંદગીમાં બાળપણ પછીનાં સમયને બાદ કરતા એ રૂટીનમાં ચાલતી રહે છે અને ક્યારે પૂરી થઈ જાય તેની પણ ખબર પડતી નથી. આ બધામાં પેલો ક્વોલિટી ટાઈમ જેવો શબ્દ ક્યાય ભુલાઈ જતો હોય છે.

દરેક સારા સમય માટે રૂપિયા જોઈએ તેમ નથી. પોતાનાઓ માટે માત્ર પ્રેમભર્યો સમય કાઢો તેમની જરૂરીયાત પ્રમાણે અનુરૂપ થઈને વર્તો તો સામે તમને પણ એવોજ પ્રેમભર્યો આવકાર મળશે. અને ત્યાંથીજ ખોવાઈ ગયેલા ક્વોલીટી ટાઈમનો આરંભ થશે.

પરદેશમાં રહીને એક વાત બહુ નજીક થી જોઈ શકી છું. માતૃભુમી, સગાવહાલાઓ થી દુર વ્યક્તિ પરદેશમાં કમાણી અર્થે જાય ત્યારે તેમને શરૂવાતમાં બહુ કઠીન દિવસો જોવા મળે છે. આ મોટાભાગનાઓ સાથે બનતું આવ્યું છે. બે છેડા ભેગા કરવા ઘણું જતું કરવું પડે છે તેવામાં અનુકુળ અને અનુરૂપ સમય કોને કહેવાય તે ભૂલી જાય છે.
છતાંય તેઓ વીકેન્ડમાં કે જ્યારે પણ સમય મળે ત્યારે ઘણા ઘરમાં ફેમીલી મેમ્બર્સ સાથે મળીને ઘરકામ કરી, ગ્રોસરી સોપિંગ કરીને કે ખાસ કશું કરવા જેવું નાં હોય તો મોલ કે મંદિરમાં સાથે જઈને સમયનો સદુપયોગ કરતા હોય છે. મોંઘી હોટલો નાં પોસાય તો તાકોબેલ, મેકડોનાલ્ડ, જેવી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ માં ડીનર કરી મનગમતો દિવસ પસાર કરી લેતા હોય છે. આ બધો એક રીતે ક્વોલીટી ટાઈમ છે.

હંમેશની વ્યસ્તતામાં લાઈફની ક્વૉલિટી બગડતી જાય છે. આવામાં ઉંમર હોય તેના કરતા વધારે અનુભવાય છે. વ્યક્તિ તન મનથી ભાંગી જાય છે. પરિણામે બિન જરૂરી રોગોના શિકાર થઇ જાય છે. કેટલું જીવીએ તેના કરતા મહત્વનું છે કે કેવી રીતે જીવીએ છીએ. એ આધારેજ લાઈફની સાચી ગુણવત્તા નક્કી કરી શકાય. કેટલાક પચાસ વર્ષના ઘરડાં જોવા મળે છે તો કેટલાક એંસી વર્ષના યુવાન પણ મળી આવે છે.

ન્યુ જર્સી સ્ટેટમાં રહેતા લીલાબા એંશી પસાર કરી ચુકેલા છે. છતાય રોજ મેકડોનાલ્ડમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. તેમનું કામ અને તેમની ધગશ જોતા તેના માલિકે તેમને હજુ પણ ઈચ્છા પ્રમાણે કામ કરવાની છૂટ આપી રાખેલી છે. તેઓ જાતે કામ કરવાની જગ્યા ઉપર કાર ડ્રાઈવ કરીને જાય છે.
તેઓનું કહેવું છે કે મારે ખુબ પ્રેમાળ પરિવાર છે છતાં વર્ષોથી આ જગ્યાએ કામ કરતા માયા બંધાઈ ગઈ છે. હવે જો તે કામ બંધ કરે તો પછી જીવવાને કોઈ આનંદ રહે નહિ. આ કામ તેને એક્ટીવ અને ખુશ રાખે છે. આજ કારણે તે મનપસંદ સમય પસાર કરે છે.
ક્વોલિટી ઓફ લાઈફ આપણા રોજીંદા જીવન અને જરૂરીયાત પ્રમાણે અલગ હોય છે જે વ્યક્તિના આરોગ્ય, રહેણીકરણી, વાતાવરણ અને સમાજ ઉપર આધારિત છે. શરીરની તંદુરસ્તી અને મનની ખુશમિજાજી ઉપર જિંદગી જીવવાની ક્વૉલિટી નક્કી કરી શકાય.

જેમજેમ ઉંમર વધતી જાય તેમ તેમ આવી જીંદગી જીવવાની મહેચ્છાઓ વધતી રહે છે. ઘણું જીવીને પણ કશું હાથ નાં લાગ્યું એવી નિરાશા જ્યારે વિચારોમાં આવે ત્યારે બાકી રહેલો સમય પણ નકામો થઇ જાય છે. આવા સમયમાં બસ મનગમતું કરવામાં અને જે મળે તેમાં ખુશ રહેવામાં ડહાપણ છે. જીવવાનું એટલું જ છે જે ભાગ્યમાં લખાએલું છે. પળના હિસાબે કલાક, દિવસ, મહિનો અને વર્ષ નજર સામેથી ઓછા થતા રહે છે. આથી ભલે કશું નવું નાં મેળવી શકાય પરંતુ જે પાસે છે તેનો ઉપયોય કરીને પણ સાચી ખુશી મેળવી શકાય છે.

જીવનની ગુણવત્તાની વ્યાખ્યા અંગે કોઈ એક સર્વસંમતિ નથી. આ વિશેની ધારણાઓ વ્યક્તિઓ વચ્ચે સમયાંતરે બદલાય છે. લોકો તેમની અપેક્ષા સાથે સરખામણી કરીને તેમના જીવનની ગુણવત્તાઓ નું મૂલ્યાંકન કરે છે.

 
2 Comments

Posted by on May 23, 2020 in corona artical

 

“પશ્ચિમી સંસ્કૃતિ સાથેની તાલમેલ”

“પશ્ચિમી સંસ્કૃતિ સાથેની તાલમેલ”- રેખા પટેલ(વિનોદિની)

જમાનો ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે તેને કોઈ નકારી શકે તેમ નથી. આ સાથે નવી જનરેશન તેના વિચારો અને વર્તનથી ખુબ આઝાદ થતી જણાય છે. જે તેમની રોજીંદી હરકતોમાં સ્પસ્ટ જઈ આવે છે, કારણ તેઓ ખોટા દેખાડામાં અને મન મારીને જીવવામાં માનતી નથી. જે એક રીતે સારુજ છે. તેઓ જે વિચારે છે તે બતાવવામાં સંકોચ નથી રખાતા. પરિણામે તેમની પ્રગતિ ઝડપી થઇ રહી છે. આ સાથે સ્વચ્છંદતા પણ બહાર આવી રહી છે તે પણ એટલુજ સાચું છે.આવા વખતે જુનવાણી વિચારો રાખતો સમાજ કે સંસ્કૃતિના ધુરંધરો બચાવ માટે કહેતા સંભળાય છે કે આ બધાનું મૂળ કારણ પશ્ચિમની સંસ્કૃતિ છે. તેઓ માને છે કે આપણે તેમના રવાડે ચડી આપણી સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છીએ.

કોઈ પણ સંસ્કૃતિ ખરાબ નથી હોતી. નહીંતર તેને સંસ્કૃતિ કેમ કહી શકાય. તેને કેવી રીતે જોવી એ આપણા ઉપર નિર્ભર છે. એક દિશાથી આપણને જે સારું લાગે તે બીજી તરફથી કદરૂપું પણ લાગી શકે છે. જેને આપણે સ્વચ્છંદતા માનીએ છીએ તેને પશ્ચિમી સમાજ સ્વતંત્રતા માને છે. મન વગરના સબંધોમાં તેમને વિશ્વાસ નથી. પરાણે કઈ પણ કરવું એ તેમના સ્વભાવની વિરુદ્ધમાં છે આથીજ ઇચ્છા મુજબનું જીવન અહીની જરૂરીયાત બની જાય છે.

દરેક સિક્કાની બે બાજુઓ રહેલી છે. જેમ પાશ્ચાત મુક્ત વિચારો આપણને માફક નથી આવતા તેમજ આપણા પોતાના બધાજ રૂઢિચુસ્ત વિચારો પણ સહન કરવાલાયક નથી.

આનાથી વિરુદ્ધ ભારતમાં બીજાઓ માટે પોતાની ઈચ્છા અને સ્વતંત્રતાને રૂંધી દેવામાં મહાનતા ગણાઈ છે. બલિદાન અને ત્યાગની ભાવના મહાન ગણાઈ છે. જે વાંચવા, સાંભળવામાં ઘણી સારી લાગે છે પરંતુ તેનું અમલીકરણ કરતી વેળાએ ઘણું બધું જતું કરું પડે છે. જે આજનાં શિક્ષિત સમાજને પરવડે તેમ નથી. તેને બીજાઓને સુખ આપવાની સાથે પોતાને પણ ખુશી અને આઝાદી જોઈએ છે. જેમાં જરાય ખોટું નથી. દરેકને પોતાના સુખની ઝંખના હોવીજ જોઈએ. અને તોજ ખુશી મન બીજાને ખુશ રાખી શકશે.

સ્વતંત્રતા હોવી જોઈએ પરંતુ તેના કારણે આવતી પેઢીને નુકસાન ના થાય તે જોવાની જવાબદારી પણ એટલીજ મોટી છે. આજકાલ હાઈફાઈ લાઈફ સ્ટાઈલ, અને વાઈફાઈ કનેક્શનને કારણે સોસાયટીમાં ભારે બદલાવ આવી રહ્યો છે. આ બદલાવના જેટલા પ્લસ પોઈન્ટ્સ છે તેટલાજ માઈનસ પોઈન્ટ્સ પણ છે. ઈન્ટરનેટના હાઇસ્પીડ કનેક્શનમાંથી અને કોમ્પ્યુટરના ડેટા પ્લાનમાં સચવાઈ ગયાનાં સ્વભાવમાંથી આપણે બહાર નીકળીને થોડીવાર માટે હવે પછીની જનરેશન વિષે વિચારવું જરૂરી બની જાય છે.

અમેરિકા,યુરોપ, ઓસ્ટેલિયા કે પછી ભારત હોય દરેક દેશમાં વિચારો અને કાર્યદક્ષતામાં આજની જનરેશન આગળ વધી રહી છે તે વાત પણ નરી આંખે દેખાય તેમ છે. આપણા દેશમાં જ આજે કોલેજમાં ભણતી યુવતીઓની આઝાદી જોઈએ ત્યારે ચોક્કસ પ્રશ્ન થાય છે કે શું વીસ વર્ષમાં આટલી બધી સ્વત્રંતા આવો ફેરફાર અચાનક આવ્યો હશે ? કે પછી એની માટે ઈન્ટરનેટ કનેક્શન પણ મોટો ભાગ ભજવી ગયો હશે?
ગમે તે કારણ હશે પણ તેના કારણે સર્વાંગી વિકાસ ઝડપી બની રહ્યો છે. સાથે તેમનો ગેરમાર્ગે દોરાવાનો ડર પણ વધી રહ્યો છે. આવા સંજોગોમાં બાળકો સાથેની નિકટતા ખુબ આવશ્યક બની જાય છે.
” કુમળાં છોડને વાળો તેમ વળે” આ કહેવત સાર્થક કરવા માટે, આપણી પાસે ખુબ ઓછા વર્ષો રહ્યા છે. કારણ આજની જનરેશન જે ઝડપથી ગતિ કરી રહી છે તેને જોતા તેમને વાળવાનો કે દિશા સૂચવવાનો બહુ ઓછો સમય બચ્યો છે. એક સમય હતો કે દસ વર્ષના બાળકને પુરતી સમજ નહોતી, તેના બદલે હવે છ વર્ષનો બાળક ફેશન, સ્ટાઈલ, જાતિભેદ બધુજ જાણતો સમજતો થઇ ગયો છે. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાતો આજના બાળકો જાહેરમાં માતાપિતા સામે કહેતા થઇ ગયા છે. એ સમય બહુ દુરનો નથી જ્યારે વિજાતીય મિત્રતાને શંકાની નજરે જોવાતી હતી. ગમેતેવા સારા સબંધો પણ છુપાવીને રખાતા હતા. આજે વિજાતીય મિત્ર નાં હોવો એ શંકાની વાત બની જાય છે.

દેશ હોય કે પરદેશ બાળકો તેમના વિજાતીય મિત્રોની વાત માતાપિતાને બિન્દાસ બની કરે છે. સામા છેડે માતાપિતા પણ પોરસાઈને તેમની આવી વાતોને પ્રોત્સાહન આપવામાંથી બાકાત નથી રહેતા. નિર્દોષતા માટે આ કશુ ખોટું નથી. પરંતુ આવા કુમળા છોડને આ બધાની સાચી સમજ નથી. આ એનું માત્ર ટેલીવીઝન અને ઈંટરનેટના માઘ્યમ દ્વારા મેળવેલું અધકચરું સમય પહેલાનું જ્ઞાન છે, જેને આપણે સમજી અને યોગ્ય દિશામાં વાળવું જરૂરી છે.

નાની ઉંમરથી બાળકોને સ્વતંત્રતા જોઈએ છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે આપણેજ તેમને એકલા સુતા શીખવીએ છીએ. પ્રાઈવેસી મેળવવા પ્રાઈવેસી આપવાનું પણ માતાપિતા દ્વારાજ શીખવાડવામાં આવે છે. આ રૂમ તેમનો છે અહી તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. તેનું આમ કરવું એ બાળક થોડો મોટો થાય ત્યારે અઘરૂ લાગે છે. તેમનાં કામમાં કોઈ ડખલ નાં કરે એ માટે રૂમ અંદરથી બંધ કરતા થઇ જાય છે. આ તેમની માટે ફ્રીડમ ગણાય અને પેરેન્ટ્સ માટે આ હેડેક બને છે.

આપણે જ્યારે ઇચ્છીએ કે બાળકો ફેમીલી સાથે સમય પસાર કરે, ત્યારે તે પોતાની રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે કારણ તેમના હાથમાં નાનપણથી ફોન ટીવી, આઈ પેડ અને કોમ્યુટર જેવા ગેજેટ પકડાવી દેવાયા હોય છે. જે આજે જરૂરિયાત કરતા દેખાડો અને દંભ વધારે છે. બાળકોને ઇલેક્ટ્રિક ગેઝેટોનો પરિચય બને તેટલો ઓછો અથવા મોડો કરાવવામાં કશુજ ખોટું નથી.
નાનપણમાં આવા ગેઝેટ્સ હાથમાં આવતા ઓનલાઈન ચેટીંગ, ગેમ્સ અને નેટ સર્ફિંગ તેમની આદતો બની ગઈ હોય છે. તેમની આ આગવી દુનિયામાં પ્રાઈવેસી મેળવવાના ઈરાદે તેઓ રૂમ લોક કરીને બેસે છે. પોતાનો દીકરો કે દીકરી બંધ બારણા પાછળ શું કરે છે તે જાણવાની દરેક પેરેન્ટસની આતુરતા હોય છે. કારણ માત્ર એટલુજ કે તેને ખોટું કરતો હોય તો રોકવા માટેની આજ હાથવગી તક છે.
માત્ર સુવા માટે રૂમ અલગ રાખવામાં આવે તો વાંધો નથી. બાકી બાળકોને રમવા કે મનગમતી પ્રવૃત્તિઓ કરવાનું આપણી નજર સમક્ષ રાખવું જોઈએ, જેથી તેમની દરેક હિલચાલ ઉપર આડકતરી રીતે નજર રાખી શકાય. તેમને એમ પણ ના લાગવું જોઈએ કે તેમની ઉપર પહેરો થઇ રહ્યો છે. કારણ આવું થતા તેમની વિચાર શક્તિ કુંઠિત થઇ શકે છે.

આઈ ફોન કંપનીનો પ્રણેતા સ્ટીવ જોબ પોતે પોતાના નાના બાળકોને ફોન કે આઈપેડ આપવાની તરફેણમાં નહોતા. શું તેમને બાળકોની પ્રગતિમાં રસ નહોતો? શું તેઓ નહોતા ઈચ્છતા કે બાળકો ગુગલ અને ફોનનાં ઉપયોગ થી વધુ સ્માર્ટ બને?
દરેક મા બાપની માફક એ બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટેજ ચિંતિત છે તેમને આ ટેકનોલોજીથી થતા નુકશાનની બરાબર ખબર છે, આથી તે બાળકોને તેનાથી દુર રાખવા માંગતા. જો તેઓ આવું વિચારે છે તો આપણે કેમ નહિ?

અમેરિકામાં એવરેજ દરેકે ટીનેજર દિવસના ૫ થી ૬ કલાક ફોનમાં વ્યતીત કરે છે. આમ કરવામાં તેમની શારીરિક એક્ટીવીટી બિલકુલ બંધ થઇ જાય છે સાથે પોશ્ચર પણ ખરાબ થાય છે. બહાર મિત્રો બનાવવાની તેની આદત ધીમેધીમે ઘટતી જાય છે પરિણામે એકલતા અને સ્વભાવમાં ડીપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે. બીજાઓ સાથે વાત કરવાની કળા અને આંખમાં આંખ મિલાવી પોતાની વાત રજુ કરવાની ખુમારી, આત્મવિશ્વાસ જતાવવાની તક ઘટતી જાય છે. આ માત્ર અમેરિકાની સમસ્યા નથી દેશ દેશમાં આજ હાલ છે. આજ કારણે સમાજ વિખેરાઈ રહ્યો છે. એકજ ઘરમાં ચાર વ્યક્તિઓ જો એકબીજા સાથે સંપર્કમાં નાં રહી શકતા હોય. તો બીજાઓ સાથે કેવી રીતે રહી શકશે?

બાળકોને કોઈના ઘરે કે સોશ્યલ પ્રસંગે લઇ જવા હોય તો પહેલો પ્રશ્ન તેઓ પૂછશે ” તેમના ઘરે મારી ઉંમરનું કોઈ છે ? હું ત્યાં શું કરીશ? ” વગેરે બહાનાઓ હેઠળ સાથે આવવાનું પસંદ કરતા નથી . અને સાથે આવે તો પણ એકબાજુ ચુપચાપ બેસી રહે અથવા ત્યાં બેઠા બેઠા તેમનો સંપર્ક ફોન દ્વારા બીજાઓ સાથેજ રહેતો હોય છે. આમ તેમનો સમાજ અને સબંધો સિમીત બની રહે છે.

અત્યારે બાળકોને વધારે ટોકવામાં પણ ખાસ મઝા નથી રહી. તેમ કરવામાં તેમના અહંને ઠેસ લાગે છે અને ના કરવાનું વધારે છુપાઈને કરવા લાગે છે.

આ સમસ્યા માત્ર પરદેશની નથી. હવે તો ભારતમાં પણ શહેરો સ્માર્ટ સિટી બની રહ્યા છે, ત્યાંના બદલાતા શોખ અને દેખાડામાં ભાષા સાથે પહેરવેશ અને વિચારો સાથે વર્તન ઝડપથી બદલાઈ રહ્યા છે. જેટલી છૂટ બાળકો માંગી રહ્યા છે તે આપ્યા સિવાય છૂટકો નથી. તો સાથે પેરેન્ટ્સ તરીકે તેમને સમજાય એ રીતે તેમની ભૂલ દર્શાવવાની કળા પણ આપણે વિકસાવવી રહી. જો તેમની જરૂરીયાતો સાથે સારી કે ખરાબ આદતો વિષે પુરતું જ્ઞાન હશે તોજ આ શક્ય બને છે. આથી કોઈ પણ બહાના હેઠળ બાળકો સાથે નજદીકી રાખવી, વાતચીત દ્વારા તેમનું મન વાંચતા શીખવું જોઈએ.
આ માટે આપણે હાઈફાઈ લાઇફ સ્ટાઈલ નહિ પણ હાઈફાઈ થીંકીંગ અપનાવવું પડશે. “બાળકોના પહેલા મિત્ર ઈંટરનેટને ના બનવા દેતા આપણે બનવું પડશે.” જો આપણે આપણી વસ્તુ ના બચાવી શકીયે તેનો દોષબીજાને આપવો કેટલી હદે યોગ્ય ગણાય? “આજે આ નથી સારું કાલે પેલું યોગ્ય નથી એ બધું માનવા, કહેવા કરતા તેની સારી બાજુઓ અપનાવી આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ.”

 

પિતાની વિદાઈ

પિતાની વિદાઈ – રેખા પટેલ (વિનોદિની) ડેલાવર

ઓ પિતા તુજ ઈશ્વર, છે બાળક માટે પરમેશ્વર.
તુજ થકી રોનક ચહેરે, મા સંગીત,તો તું સ્વર.

મારા આજ સુધી લખાએલા સેંકડો લખાણોમાં મેં પિતા ઉપર ખુબ જ ઓછું લખ્યું છે. કારણ હું મારા પપ્પાને અને તેમની લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકવા સક્ષમ નથી. છતાં આજે જ્યારે જીવનનો કોઈ એક અવિસ્મરણીય પ્રસંગને વર્ણવાનો મોકો મળ્યો છે ત્યારે અધધધ સુખના પ્રસંગોને એક બાજુ ઉપર મૂકી હું જીવનનાં એક માત્ર દુઃખના પ્રસંગને આલેખીને મારા દર્દને ઓછું કરવાનો પ્રયત્ન અચૂક કરી લઈશ.

સામાન્ય રીતે એક હજાર પુસ્તકોમાં “મા” ઉપર ૯૦૦ પુસ્તકો કે નિબંધ મળી આવશે. જયારે પિતા ઉપર બહુ ઓછું લખાણ જોવા મળશે. બાળક મા ના અસ્તિત્વનો ભાગ છે, તો એ પિતાનો અંશ છે. મા ગુરુ છે તો પિતા હાથ ઝાલી રસ્તો સૂચવનાર જીવનરથનો સારથી છે. આપણા રથને યોગ્ય દિશામાં લઇ જવા માટે આ સારથી ક્યારેક ઢીલ આપે છે તો ક્યારેક લગામ કસીને ખેંચે છે. આપણે તેની આ ખેંચાએલી લગામને પિતાની કડપ માની લઈએ છીએ. પરંતુ હકીકતમાં એ તેમની આપણા ભવિષ્ય પ્રત્યેની ચિંતા માત્ર હોય છે.

યુવાનીમાં જે પુરુષ પોતાના મોજશોખ અને રંગીનીયાને દુનિયા માનતો હોય છે તે જ પિતા બનતા સાવ બદલાઈ જાય છે. તેની સહુથી પહેલી પ્રાથમિકતા તેનું બાળક બની જાય છે. પિતાના પ્રેમ અને ત્યાગને જરાય ઓછો નાં આંકવો. જેમ “મા વિના ઘરને દીવાલો નથી તેમ બાપ વિના માથે છાપરું નથી.”

મારા પપ્પા,નવનીતભાઈ પટેલ એ મારો પહેલો પ્રેમ. પાતળું લાબું ટટ્ટાર વ્યક્તિત્વ. એ સરળ તેટલા જ મિજાજી હતા. જેટલા ગુસ્સાવાળા તેટલાજ આનંદી પણ હતા. તેમણે નાનપણથી દુઃખોને સાવ નજીકથી અનુભવ્યા હતા કદાચ આજ કારણે તેમના સ્વભાવમાં કદાચ કડપ હશે. બાકી હ્રદયના ખુબજ ભોળા અને ખુશમિજાજી હતા.

ત્રણ ભાઈ બહેનોમાં હું સહુથી મોટી દીકરી અને પપ્પાની લાડકી હતી. આખાય ઘરમાં જો તેમને કોઈ કંઈ પણ કહી શકે કે લડી શકે તો માત્ર હું. આજે પણ તેમના વિષે લખતા જડબા અને મગજની નશો ખેંચાઈ જાય છે. શબ્દો છૂટી જાય છે. પરંતુ પરાણે લગામ ખેંચી આજે આખી વાત અહી પૂરી કરવા કોશિશ કરીશ.

માત્ર મેટ્રિક પાસ થયેલા મારા પપ્પાની બુદ્ધિની તોલે ભલભલા એન્જીનીયર પણ પાછા પડી જતા એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. કોઈ પણ પ્રકારની મશીનરી ખોલીને પાછી ફીટ કરવામાં પાવરધા હતા. ૧૯૮૦ ની સાલમાં જ્યારે લોકોને ટીવી વસાવવાના ફાંફા હતા ત્યારે પપ્પા ઘરમાં આવેલું ટીવી આખું ખોલી નાખતાં. રાતભર જાગી તેની ટેકનોલોજી વિષે વિચારતા, રંગોનું સેટિંગ પણ અંદરની પિક્ચર ટ્યુબ ખોલીને જાતે કરતા હતા. અમે સાવ નાના છતાં તેમની આ આવડતને કારણે બહુ ગર્વ અનુભવતા. કોઈના પણ ઘરે કંઈક મશીનરી બગડી ગઈ હોય અને જો કોઈ બોલાવે તો તરત સાવ ફ્રીમાં રીપેર કરવા પહોંચી જતા. કોઈ પણ કામમાં તેમને નાનપ નહોતી.
ખેત મજુરો સાથે પણ મિત્રતા રાખતા જેના કારણે એ લોકો પણ અડધી રાત્રે મારા પપ્પા માટે ખડે પગે હાજર રહેતા.

જીવન પ્રત્યેનો એમનો અભિગમ સાવ અનોખો હતો. જે પણ મળે તેમાં ખુશ રહેતા. તેમનું એક વાક્ય મારા જીવનમાં સદાયને માટે વણાઈ ગયું છે. ” બાંધી મુઠ્ઠી લાખની “.
મારા પપ્પાને મ્યુઝીકમાં પણ ખુબ રસ હતો, તેમની પાસે એ સમયના ફિલ્મી ગીતોનું ભારે કલેક્શન હતું. જે આજે પણ હીટ છે. એક એક ગીત જાતે નક્કી કરી રેકોર્ડ કરાવતા. વાંચનનો મારો શોખ મારા પપ્પાને કારણે કેળવાયો હતો. મારા ઘરમાં કાયમ પુસ્તકો રહેતા. મમ્મી હિન્દી મિડિયમમાં રાજસ્થાન ભણ્યા હતા તો પપ્પાએ આગ્રહ પૂર્વક ગુજરાતી વાંચતા કરી દીધા હતા.

પપ્પા સાથેની મારી બહુ ગમતી ક્ષણો એટલે તેમના ગળે હાથ વિટાળીને મારું ટીવી જોવું. તેમાં પણ જ્યારે તે બહુ ખુશ હોય ત્યારે તેમની હસવાની અદા ઉપર હું કુરબાન થઈ જતી, તે હસતા ત્યારે નીચેનો હોઠ જરા વધારે અંદર ધકેલાઈ જતો. તેમને આમ હસતા જોવાનું મને બહુ ગમતું.
ખૂબ જ શોખીન મારા પપ્પાને તેમનો શોખ પૂરો કરવાનો ખાસ કોઈ મોકો નહોતો મળ્યો. કારણ તેમના નાના ભાઈ બહેન સાથે આખા કુટુંબની જવાબદારી તેમણે માત્ર તેર વર્ષની ઉંમરેથી ઉપાડી લીધી હતી.
ત્યાર બાદ અમારા સપના પુરા કરવામાં તેમણે પોતાના સ્વપ્નાઓને હૃદયમાં ભંડારી દીધા હતા. તેમને દુનિયા ફરવાનો, દરેક વસ્તુઓ જોવાનો, જાણવાનો શોખ હતો, તે આ વાત કદી પણ કોઈને કહેતા નહોતા પરંતુ મોટી થયા પછી હું આ બધું જોતી સમજતી હતી, અને ત્યારે વિચારતી કે મોટી થઈને પપ્પાના બધા જ સપના પુરા કરીશ તેમને ગમતું બધું જ સુખ આપીશ. પરંતુ ઉપરવાળો મારી ઈચ્છા અધુરી રાખવાનું પહેલેથી જ નક્કી કરીને બેઠો હતો.

મારા પપ્પાનો વિદેશનો શોખ અધુરો રહ્યો હતો આથી કાયમ મને કહેતા “તને તો હું અમેરીકા જ પરણાવીશ.” છેવટે તેમની જીદને અનુસરી કોલેજના બીજા વર્ષમાં હું અમેરિકાથી લગ્ન કરવા માટે આવેલા વિનોદને મળી. જોકે પહેલા તે વિનોદને મારી માટે જોઈ,પારખી આવ્યા હતા. મને કહે “બરાબર તને સાચવે તેવો છોકરો છે. તું સુખી થઈશ” જે અક્ષરેક્ષર સાચું પડ્યું.

મારા લગ્ન નક્કી થતા તે ખુબ ઉત્સાહમાં આવી ગયા હતા કે દીકરીને ખુબ સારું સાસરું મળ્યું. લગ્ન માત્ર ત્રણ અઠવાડિયામાં લેવાના હોવાથી તે ઝડપથી તૈયારીમાં લાગી ગયા. આ દરમિયાન કોણ જાણે કઈ બીમારી તેમને ઘેરી વળી કે દિનપ્રતિદિન તેમની તબિયત બગડવા માંડી.

તે સમયે તેમની ઉંમર પચાસ વર્ષ હતી. લગ્નના આગલા અઠવાડિયે બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ. કદાચ જલદી સારું થઈ જાય એ માટે લીધેલી ભારે દવાઓનું રીએક્શન આવી ગયું હતું. જેના કારણે લાંબો સમય બેસવાનું પણ અઘરું થઇ ગયું હતું. છેલ્લા દિવસોમાં હું અને મારા મમ્મી લગ્નનું શોપિંગ કરીને ઘરે આવતા ત્યારે પપ્પા બહાર ઓસરીમાં ઢાળેલી ખુરશીમાં અત્યંત દર્દ સહન કરતાં જોવા મળતા. છતાં અમને જોઈ ” લાવ બતાવ શું લાવી તું? તે બધું ગમતું લીધું છે ને? એવા પ્રશ્નો પૂછી દુઃખ છુપાવી ખુશ થવાનો પ્રયત્ન કરતા. ત્યારે હું એ વાત નહોતી સમજી શકી કે કેટલા દર્દમાંથી તે પસાર થતા હશે. અમને ખુશ જોવા એ અંદરથી કેટલું સહન કરતા રહ્યા હશે.
બધું જ દર્દ પચાવી જઈ,પરાણે હસતો ચહેરો રાખીને કન્યાદાન કર્યું. વિદાઈ વેળાએ માથે હાથ મુકીને ખુબ રડ્યા હતા. ત્યારે તેમની આંખો અને બીમારીને કારણે સુજી ગયેલો ચહેરો મારી માટે આખરી નિશાની સમો બની ગયો. જે આજે પણ આંખ બંધ કરતા સામે આવી જાય છે. આ ઊંડી વેદનાની કસક કદીયે ભૂલાય તેમ નથી. એ ચહેરો આંખ સામે આવતા મારા માથામાં પીડાની કસક ખેંચાઈ જાય છે.
લગ્ન પછી ના ચોથાજ દિવસે મારે કોલેજના બીજા વર્ષની એન્યુઅલ એક્ઝામ હતી. વર્ષ બગાડવાનું પોસાય તેમ નહોતું. આથી લગ્ન પછીના બીજા દિવસે હું ઘરે આવી, મને જોઈ તરત એ પલંગમાં બેઠા થઇ ગયા અને મારા માથા ઉપર હાથ ફેરવી સહુથી પહેલા પૂછ્યું કે ” તું ખુશ છે ને? બધા તારી માટે પ્રેમ રાખે છે ને? તારું ઘ્યાન રાખતા હતા ને? કોઈએ તને કશુંજ મનદુઃખ થાય તેવું કહ્યું નથી ને?” આટલા બધા પ્રશ્નો એમણે એક સાથે પહેલી જ વાર પૂછ્યા હતા. કદાચ તેમને જાણ થઇ ગઈ હશે કે હવે પછી બહુ સમય નથી કે દીકરીના સુખદુઃખ જાણી શકું…..આજે પણ એ સ્પર્શ એ અવાજ એ આંખોની ચમક બરાબર યાદ છે.
બીજાજ દિવસે મારે પરીક્ષા આપવા બાજુનાં ગામ બોરસદ જવાનું હતું. કારણ એક્ઝામ સેન્ટર ત્યાં હતું. આ તરફ પપ્પાની તબિયત વધુ લથડતા હોસ્પિટલ લઇ જવાતા હતા ત્યારે મેં તેમનો હાથ પકડી લીધો હું રડી પડી અને સાથે જવાની જીદ પકડી.

” તું મારી બહાદુર દીકરી છે ને! બરાબર પરીક્ષા આપજે , તારે પાસ થવાનું છે.” જતી વેળાના એમના મારી માટેના આ છેલ્લા શબ્દો…
કદાચ એ પછી એ ભાગ્યે જ કોઈને કશું બોલી કે કહી શક્યા હશે. આજે પણ એ દિવસો યાદ કરતા કંપી જાઉં છું.

સારા કે ખરાબ પ્રસંગોમાં જેમના માથા ઉપર પિતાનો હાથ રહે છે તેઓ ખરા અર્થમાં નશીબદાર છે. એથીજ તો પિતા ને ઘરનો મોભ કહેવાય છે.
અમારા ઘરનો મોભ તૂટી પડ્યો. હોસ્પિટલમાં પહોચતા પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં દરવાજે તેમના શ્વાસ કાયમને માટે બંધ થઇ ગયા.
“વ્હાલી દીકરીને વિદાઈ આપી એ ખુદ કાયમી વિદાઈ લઇ ગયા. મને, નાના ભાઈ બહેન અને મારી મમ્મીને ભરેલા સંસારમાં એકલા કરી ગયા.

બે પેપર્સ પુરા કરતા સાંજ પડી ગઈ હતી. ત્યાં સુધી પપ્પાના મિત્ર બહાર બેસી રહ્યા. ગામડામાં મૃત શરીરને લાંબો સમય ઘરે ના રાખી શકાય તે માટે બધા મારી રાહ જોઈ રહ્યા હતા. જેથી સમયસર અગ્નિસંસ્કાર કરી શકાય.

મારી સમજ બહાર મને જલ્દીથી વાલવોડ અમારા ગામના ઘરે લઇ જવામાં આવી. હું આખા રસ્તે પૂછતી રહી કે કેમ ભાદરણ નથી જતા? મારે હજુ કાલના પેપર્સની તૈયારી કરવાની છે. વાલવોડ નથી જવું. પણ તે કાકા ખાસ કઈ બોલ્યા વિના કહે એક કામ પતાવી તને ભાદરણ મૂકી જઈશ.

અમારી ખડકીમાં પ્રવેશતાં જોયેલું દ્રશ્ય આજે ૨૯ વર્ષ પછી પણ કંપાવી જાય છે. આખી ખડકી સફેદ કપડાથી ઉભરાઈ ગઈ હતી. જાણે મારા હ્રદયને કોતરતાં કીડાની માફક એ બધા ઉભરાતા હતા. મારું હ્રદય બેસવા લાગ્યું હતું. કશુક અમંગલ બની ગયું છે તે સમજતા વાર નાં લાગી. મારા દાદીમાની તબિયત તે દિવસોમાં જરા નબળી હતી આથી ધારી લીધું તેમ જ બન્યું હશે.

પરંતુ ઘરમાં પ્રવેશતાં હાથમાંથી બધું જ નીચે પડી ગયું અને હું પપ્પાના માથા પાસે ઢગલો થઇ ફસડાઈ પડી. ” પપ્પા તમારા વગર મને કોણ વહાલ કરશે, તમારા વગર મને એક પણ દિવસ નથી ચાલતું હવે હું શું કરીશ.”

સમય ક્યા કોઈનો રોક્યો રોકાય છે. જન્મ મરણ બધું પહેલેથી નક્કી હોય છે. બસ મારા કન્યાદાનનું સુખ તેમના નશીબમાં હતું. અને તેમના દ્વારા વિનોદનું સુખ મારા નશીબમાં હતું તે આજ પર્યંત અકબંધ રહ્યું. સાવ ભાંગી પડેલી હાલતમાં પરીક્ષા આપી અને પાસ પણ થઇ. એક ડાહી દીકરી તરીકે મેં પણ પપ્પાને આપેલું વચન પૂરું કર્યું હતું.
મારા વહાલા પપ્પાના દુઃખને ના સમજી શકવાનું દુઃખ આજે પણ તીવ્રતાથી અનુભવું છું.’મારા લગ્નની ખુશી ડહોળાઈ ના જાય એ માટે બધું દુઃખ બહુ સિફતથી પચાવી ગયા હતા.’ મારી માટે પિતાનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે… આજે હો હયાત હોત તો વિશ્વાસથી કહી શકું તેમ છું કે તેમની દરેક ઈચ્છા મેં જરુર પૂરી કરી હોત. “મારી સોનાની થાળીમાં પિતાની વહેલી વિદાઈ બની લોઢાની મેખ”

 

બાળ માનસ.

બાળ માનસ સમજવામાં જેટલું સહેલું ,એટલુ જ એ અટપટું છે

સપ્ટેમ્બરની શરૂઆત એટલે બાળકો થી લઇ તેમના પેરેન્ટ્સને બીઝી થવાની શરૂઆત . સ્કૂલો કોલેજો શરુ થઇ જાય છે. ફરી પાછી સવાર સાંજ સ્ટ્રીટમાં સ્કુલ બસોની અવર જવર દેખાય છે.
કેટલીક કાયમ શાંત રહેતી સ્ટ્રીટ ઉપર ભુલકાઓની વસ્તી જાણે અજાણે વિન્ડોમાંથી બહાર ડોકિયું કરવા મજબુર કરી મુકે છે. આ સાથે તેમના વિષે વિચારવા પણ પ્રેરે છે.

અહીની શૈક્ષણિક વ્યવસ્થા ભારતની સરખામણી માં બહુ સરળ હોય છે. નાનપણ થી આપણે ત્યાં બાળકો ઉપર જેમ ભણતરનો બોજ લાદી દેવાય છે તેમ અહી નથી હોતું. બાળકોને ભણતર સાથે તેમના આનંદનો પુરતો ખ્યાલ રખાય છે, જેથી દરેક બાળકને સ્કુલ જવું ગમે છે.

હા કેટલાક બાળકો બહુ એકલમુડી હોય, જેમને ઘરની બહાર જવું પસંદ નથી હોતું. એમની માટે અહી હોમ સ્કુલ જેવી વ્યવસ્થા પણ રખાય છે. જ્યાં બાળકો માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કુલ જતા હોય છે. આ બધા બાળકોના પેરેન્ટ્સ જુદાજુદા દેશમાંથી આવીએ અહી વસેલા હોય છે. તે લોકોને શરૂઆતમાં જેટલી તકલીફ બહાર કામ કરવામાં નથી પડતી તેનાથી વધારે અહી નાના બાળકોને સ્કુલમાં બીજા અમેરિકન બાળકો સાથે મિક્સ થતા પડતી હોય છે. તેમાય જો અમેરિકન લેગ્વેજ બરાબર ના બોલી શકે એવા બાળકોને ખાસ મુશ્કેલી પડે છે.

આપણે ક્યારેય વિચાર્યું છે આપણા બાળકો જ્યારે અહીની સ્કૂલો કોલેજોમાં અમેરિકન ગોરાઓ કાળાઓ વચ્ચે ભણવા જાય છે ત્યારે તેમની મનોદશા કેવી હોય છે?
ખાસ કરીને થોડા વર્ષોથી અહી આવેલા ઇમિગ્રન્ટ પેરેન્ટ્સની વાત કરીએ તો, પારકા દેશમાં જ્યાં જીવનની શરૂવાત એકડ એકથી શરુ કરવાની હોય તેવા માતા પિતા માટે કમાણી કરાવી અતિ આવશ્યક હોય છે. તેવા સમયમાં બાળકોને ના વિકાસ ઉપર ખાસ ઘ્યાન રખાતું નથી. તેમાય દેશી માં બાપ ઘરમાં વધારે કરી ગુજરાતી બોલતા હોય છે આવી પરિસ્થિતિમાં બાળકોનો ઝુકાવ માતૃભાષા તરફ વધુ હોય છે અને આવા વખતે જ્યારે તેમને પ્રી સ્કુલમાં મુકવામાં આવે છે ત્યારે તેમની દશા દયાનીય બની જાય છે. માં બાપ જ્યારે દીકરા દીકરીઓને અહીની પ્રી સ્કુલમાં પહેલું પગથીયું ચડે છે ત્યારે જેટલા ખુશ હોય છે એટલા જ એના માબાપ ચિંતિત પણ હોય છે. કારણ એ બાળકને પૂરું અંગ્રેજી બોલતા પણ આવડતું નથી હોતું. ત્યારે માં બાપને તેમની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

આવા બાળકોને ક્યારેક તો બાળક બાથરૂમ જવું કે પાણી પીવું છે જેવા સામાન્ય શબ્દો પણ અંગ્રેજીમાં બોલી શકતા નથી.ત્યારે આવી સ્થિતિમાં જ્યાં બધા જ અમેરિકન બાળકો હોય ત્યાં આખો દિવસ તેમની વચ્ચે એક થઇને રહેવું તે બાળકો માટે ચેલેન્જ રૂપે હોય છે….

અને નાના બાળકોનાં મન સ્વચ્છ હોય છે તે વાત સાચી,પરંતુ તે બાળકો પણ સમજી શકે છે કે તેમની ભાષા બીજા કરતા અલગ છે.રંગ અને રહેણીકરણી બીજાઓ કરતા અલગ છે અને વધારામાં નાના બાળકોમાં નાની નાની વાતોને સમજવાની શક્તિ પણ ઓછી હોય છે. બીજા બાળકો કરતા અલગ પડતા આ ભારતિય બાળકોની અમેરીકન બાળકો વારેવારે મજાક ઉડાવતા હોય છે.તેમની સાથે દોસ્તી કરતા અચકાતા હોય છે.આવી પરિસ્થિતિમાં આ કાચી વયના બાળકોના માનસપટ ઉપર આ બધી વાતોની ઉલરી અસર નાં પડે એ જોવાનું અને સમજવાનું કામ બાળકના મા બાપનુ બની જતું હોય છે. બાળકો ક્યારેક નિરાશા વાડી અને એકાંત પ્રિય પણ બની જતા હોય છે. આવી સ્થિતિમાં તેમની મુશ્કેલીને સાંભળી તેનો યોગ્ય ઉપાય તેમને શીખવવાનું આપણું કામ બની જાય છે.

આ બધું ટાળવા માટે બાળકને ગુજરાતી કે પોતાની માતૃભાષા સાથે સાથે અંગ્રેજીનું જરૂરી શિક્ષણ આપવું બેહદ જરૂરી બની જાય છે.બાળકના મનમાં લધુતાગ્રંથી નાં ઉદભવે તેનું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.

આ વાત આજે એટલા માટે યાદ આવી કે થોડા દિવસ પહેલા મારા શહેરમાં આવેલા મંદિરમાં હું દર્શન કરવા ગઈ હતી. ત્યાં ઇન્ડીયાથી થોડાજ સમય પહેલા આવેલા એક બહેન સાથે મુલાકાત થઇ. તેમણે વાત વાતમાં જણાવ્યું કે તેમનો દસ વર્ષનો દીકરો જે દેશમાં ભણવામાં તેજસ્વી હતો અને કદી સ્કુલ જવામાં આનાકાની કરતો નહોતો તે રોજ સ્કુલમાં નાં જવાના જુદા જુદા બહાના શોધે છે અને બહુ કહેવામાં આવે તો રડવા બેસી જાય છે. પેલા બહેન બહુ પરેશાન હતા.

છેવટે મેં મારી દીકરીને તેમના દીકરા સાથે વાતો કરવા જણાવ્યું ,તો તેના જણાવ્યા પ્રમાણે સ્કુલમાં કોઈ તેની સાથે બોલતુ નથી તેને ફાબ કહી ચીડવતા હતા ,કારણ તેનું ઈંગ્લીસ અહીના બીજા છોકરાઓ જેવું નહોતું, તેના ઉચ્ચારણ સાવ અલગ પડતા હતા. વધારામાં તેની મમ્મી લંચમાં તેને ભાખરી આપે છે તેનું પણ બધા ફન કરે છે. બીજા ત્રીજા ક્લાસમાં ભણતા બાળકો બધાજ સરખા હોય છે . કોઈ અંગત વેરઝેર હોતું નથી બસ નાદાનિયત ને કારણે આવું બધું કરતા હોય છે. પરંતુ તેની અવળી અસર બાળકો ઉપર પડી જાય છે.

એક દિવસ તો લંચમાં મળતા ચીકન નગેટસ તે ભૂલમાં ભજીયા સમજી ખાઈ ગયો હતો ,કારણ ઘરમાં બધા વેજીયેરીયન હોવાથી તેને અહી મળતા ચીકન નગેટસ વિષે કોઈ જ્ઞાન નહોતું . ઘરે આવીને તેને વાત તેની મમ્મીને જણાવી ત્યારે તેની મમ્મી તેને બહુ લડ્યા હતા. હવે તેને સ્કુલમાં જતા પણ ડર લાગતો હતો.
જ્યારે મારી દીકરીએ આ વાત મને જણાવી ત્યારે હું પણ સમજી શકી કે તેનાં મગજમાં શું દ્વંદ યુદ્ધ ચાલતું હશે. બાળકોની મુશ્કેલીઓને સમજવી માં બાપની પહેલી ફરજ છે. આપણે જ જો તેમની લાગણીઓને ઇગ્નોર કરીશું તો તેઓ કદીયે મનની વાત બહાર નહિ લાવી શકે પરી નામે ક્યારેક બંડખોર પણ બની જશે. કેટલાક બાળકો સ્કુલમાં ગયા પછી વધુ પડતા ધમાલિયાબની જાય છે. દરેક વખતે એવું નથી હોતુ કે તેઓ બહાર બીજાનું જોઈને આવે છે. ક્યારેક એમ બને છે કે ત્યાં નથી કરી શકતા એ બધું ઘરે આવીને કરવાની કોશિશ કરે છે. બાળ માનસ સમજવામાં જેટલું સહેલું છે એટલુ જ એ અટપટું છે.

અમેરીકા હોય કે ભારત હોય મોટે ભાગે પરિવારમાં બાળકો ને આપણે આપણી પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવા માગીએ છીએ તેથી તેમને નાનીમોટી દરેક વાતમાં ટોક્યા કરીએ છીએ.”જેમ કે આપણે અમેરિકન નથી”..”આપણાથી આ ના થાય તે ના થાય.”અમેરીકન જેવા બહુ ટુકા કપડા ના પહેરાય”..”વાળ ખરાબ થાય છે તેલ નાખો.” જેવી અનેક નાની મોટી ટકોર આપણા બાળકો ઉપર સતત ચાલુ રાખીએ છીએ.

જ્યારે અમેરિકન બાળકો માટે આ બધું સહજ હોય છે.તેઓ ક્યારે પણ વાળમાં તેલ નથી નાખતા.અને મોટે ભાગે તેઓ પંરંપરાવાદી ના હોવાથી બાળક રોજિંદી ટકોરમાંથી બાળક મુકત રહી શકે છે. તેથી કરીને આપણા બાળકો આવી સ્થિતિમાં જુદા પડે છે. ઘરે માં બાપ સામે કશું કરી બોલી શકતા નથી અને બહાર જમાના સાથે તાલમેલ મિલાવી શકતા નથી..આપણે આપણા બાળકોને ભારતીય બનાવી રાખવાના મોહમાં ભૂલી જઈયે છીએ કે તેમને આ જમાના પ્રમાણે પગલા ભરતા શીખવું પણ બેહદ જરૂરી છે ,નહીતર આઘુનિક દોડમાં આજ બાળકોની પાછળ રહી જવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે.

વિદેશમાં રહીને આપણા દેશને દેશની સંસ્કૃતિને કે વિશિષ્ટતા કે સમૃદ્ધિ ભૂલી જાઓ તેમ હું નથી કહેતી..પરંતુ બાળ માનશ સમજી તેમના ઉપર દબાણ રાખો તો જ તેનો અર્થ સરે છે.આથી જેવો દેશ તેવો વેશ અપનાવી બાળકોને સમજવા જોઈએ.

હું માનું છું પ્રથમ આપણે જ આપણી જાતને કેળવી જોઈએ.અને આપણા બાળકોની અહીની જરૂરયાતને ધ્યાનમાં રાખીને એનો ઉછેર કરવો જોઈએ.

રેખા પટેલ વિનોદીની
ડેલાવર (યુએસએ)

 

જનરેશન ગેપ.

જનરેશન ગેપ – બે પેઢી વચ્ચે વિચારોની અસમાતા. – રેખા પટેલ (ડેલાવર, યુએસએ)

જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે સમય અને સમજનું અંતર…. બે પેઢીના આગવા દ્રષ્ટિકોણ અને વિચારોની ભિન્નતા અને વિકસતી જતી ટેકનોલોજીને કારણે ૨૦ -૨૫ વર્ષના સમય ગાળા દરમિયાન આવતો તફાવત સામાન્ય બાબત છે. પરંતુ એ અલગ મંતવ્યોને કારણે અંતરમાં દૂરી ના આવે તે માટે બંને પેઢીએ એકબીજાના વિચારોને અને પરિસ્થિતિઓને સમજવી જોઈએ.

“મોટાભાગની ગેરસમજ વાતને પ્રસ્તૃત કરવાની અને સમજાવવાની કળાનાં અભાવને કારણે થાય છે, આને ઉંમર સાથે ખાસ કોઈ લેવાદેવા નથી.” હા સમય સાથે ટેકનોલોજીનો વપરાશ એક દેખીતી ગેપ જરૂર ઉભી કરે છે. પરંતુ તેમાં જો એજ્યુકેશન થી બેલેન્સ જળવાઈ રહ્યું હોય તો બે પેઢી વચમાં ખાસ ગેપ દેખાતી નથી.

છતાં રહેણીકરણી, સમય સાથે વિચારોની સ્વતંત્રતા અને મુક્તતા જનરેશન ગેપ ઉભી કરવામાં મહત્વનો ફાળો આપે છે. આ અસમાનતા દરેક પેઢી વચમાં રહેવાની જ છે. તેને હસતા પચાવી લેતા કળા સહુ પહેલા આપણે શીખવાની જરૂર છે. નહિતર મતભેદને મનભેદ થતા વાર નહિ લાગે.

આજનાં યુવાનો યુવતીઓ ખુબજ અગ્રેશીલ હોય છે. બહુ ઝડપથી આગળ આવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવાની તેમની ઝડપ અને આવડત દાદ માંગી લે તેવી છે. આ સાથે વિચારોમાં તેમની સ્પષ્ટતા તેમનો પ્લસ પોઈન્ટ ગણી શકાય. વડીલો માટે પોતાનાથી નાના સામે માથું ઝુકાવવું એ હાર છે, આ ભ્રમણામાંથી તાત્કાલિક બહાર આવી જઈ જેની પાસે વધુ છે તેની પાસેથી નવું શીખવામાં નાનામ નથી. એવી જો ભાવના અપનાવીશું તો મનભેદની સ્થિતિ નહિ સર્જાય.

અહી બાળકોમાં નાનપણથી લુચ્ચાઈનો અભાવ હોય છે. બધાજ પોતપોતાની મસ્તીમાં, પ્રાયવેસીમાં જીવતા હોવાને કારણે આજુબાજુ વાળા થી કશુજ સંતાડવાની કે ખોટું બોલવાની ખાસ જરૂરીયાત ઉભી થતીજ નથી. આવી સ્થિતિમાં બાળકોમાં નાદાનિયત, સચ્ચાઈ સચવાઈ રહે છે. જોકે હવે શિક્ષણનું પ્રમાણ વધતા લગભગ દરેક જગ્યાએ આ મહત્વનો ફેરફાર જોવા મળે છે. આવા વિચારો ધરાવતા બાળકો જ્યારે પણ પોતાનું મંતવ્ય કે પોઈન્ટ ઓફ વ્યુ જણાવે ત્યારે તેમને સાંભળવા જોઈએ. પોતાની વાત સ્પસ્ટતા થી બીજાઓ સમક્ષ મુકવાની તેમની ટેવને કારણે દબાએલી કચડાયેલી સ્થિતિમાં જીવવાનું બહુ ઓછું થઇ ગયું છે. પરિણામે તેમનો વિકાસ પણ ઝડપી બન્યો છે. તો જરૂર વગર તેમના અવાજને દબાવી દેવાનો ગુનો કરવાની કોઈ જરૂર નથી.

મોટાભાગે બાળકોની વાતને આપણે મજાકમાં ઉડાવી દઈયે છીએ. ” તને નાં સમજાય કે એવું કશુજ નાં હોય ” એમ કહ્યા વિના તેમની વાતને સાભળીને તેમની જગ્યાએ ઉભા રહીને સમજવાનો પ્રયત્ન કરાવી જોઈએ. જો શરૂવાતથી બાળકો સાથે આ પ્રમાણેનું વર્તન કરવામાં આવશે તો મોટા થયા પછી પણ તેઓ તમારી સાથે વિચાર વિમર્સ કરતા નહિ ખચકાય અને જનરેશન ગેપ જેવા ભારેખમ શબ્દોનો માર નહિ પડે.

એક સાથે કામ કરતી બે પેઢી વચમાં નાનો મોટો ટકરાવ જરૂર રહેવાનો. જૂની પેઢીના વયસ્કોને યુવાનોની ઝડપ નડે છે. પરિણામે બંને પક્ષે પોતપોતાની રીતે સચ્ચાઈ હોવા છતાં એક દીવાલ રચાઈ જાય છે. જે લોકોએ વર્ષો સુધી ખુબ મહેનત કરી જે પદ પ્રતિષ્ઠા મેળવી હોય તે બધું આજની જનરેશન આસાનીથી પામી લે તો સંઘર્ષ રહેવાનો જ.
રોજરોજ બદલાતી જતી ટેકનોલોજી યુવાનોને હસ્તક હોય છે જેના કારણે તેઓ ઝડપી છે. તો વડીલોએ અહં છોડી એ બધુજ શીખવા માટે મોટું મન કરવું જોઈએ. સામા છેડે આગલી પેઢી પાસે અનુભવની ખાણ છે. યુવા પેઢીને આ અનુભવો ઉપરથી ઘણું શીખવા જેવું મળી આવશે. આથી તેઓ પણ આ વાતને નજર અંદાજ નાં કરે એ ખુબ મહત્વનું છે. પરસ્પર સહયોય થી બધુજ આસાન થઇ રહે છે.

આવીજ મોટી ગેપ ફેશનમાં આવી છે. આજથી માત્ર ત્રીસ વર્ષ પાછળ જઈએ તો તે સમયમાં પાવડર લીપ્સ્ટીક અને કાજળ બિંદી… બસ આજ મેકઅપના હાથવગા સાધનો હતા. જ્યારે આજે નાની બાળકીઓ પણ ફાઉન્ડેશન થી લઇ મશ્કરા અને આઈસેડો વિષે અધધ જ્ઞાન ધરાવતી થઇ ગઈ છે. આઠ દસ વર્ષની બાળકી તેની મમ્મીને મેકઅપ કરવાની ટીપ્સ આપે છે. મેનીક્યોર પેડીક્યોર બાબતે સભાન થઇ રહી છે. જેલ નેઈલ પોલીશનો જમાનો આવી ગયો છે.
એક સમય હતો કે લગ્ન કરતી યુવતીને તેની માતા કેમ સાડી પહેરાવી તે શીખવતી હતી. જ્યારે આજે બાળકો યુવાન માતાને પણ કેવા કપડાં ક્યા પહેરાય , કેવા સારા લાગે તે શીખવે છે. આજે શું કહેવું, સ્વછંદતા કે અસંસ્કાર? આ આજની જનરેશનની સ્માર્ટનેસ છે. તેઓ જાણે છે અને સામે શીખવવામાં પણ માને છે. ખુલ્લા મને તેમની સાથે ચર્ચાઓ કરવી જોઈએ. તેમની સાથે કદમ મિલાવવા આપણે મોટાઈ છોડી હરણફાળ ભરવી પડશે.

આપણને બધુજ જ્ઞાન છે એવું વિચારવાનું છોડી આપણાથી નાના ઓને પણ સાંભળવા જોઈએ ક્યારેક તેમની સલાહ અને સૂચન પણ માનવા જરૂરી છે. આજની જનરેશન નવી ફેશન નવી સ્ટાઈલ ભલેને જૂની પેઢીને માફક ના આવે પરંતુ તેમની ટીપ્સ જરૂર હેલ્પફુલ હોય છે. ટીનેજર બાળકોના વિચારો સામે નન્નો ભણી દીધા કરતા તેમને સાંભળવા જોઈએ. ગમે કે ના ગમે તેમની વાતોમાં એક વખત તો હકાર ભણવીજ જોઈએ, પછીજ સમજાવટ માટે પ્રયત્ન કરવો જોઈએ. નહીતર આજની જનરેશન પાછલી પેઢીની વાતોને ક્યારેય કાને નહિ ધરે.

દરેક એક પેઢી એ પોતાની જુવાનીના દિવસોમાં જરૂરીયાત મુજબ સંધર્ષ કર્યો હોય છે. જેનાથી આવનારી પેઢી કાં તો અજાણ હોય છે કા લાપરવાહ હોય છે. જુવાનીનો આવેગ તેમને મરજી મુજબ જીવવા પ્રેરતો હોય છે. તેમને મરજી મુજબ જીવવું હોય છે મોજમઝા કરાવી હોય છે. આવા સમયમાં તેમની મુક્તતા જૂની પેઢીને કઠે છે. તેઓ માને છે કે પોતે કરેલા પરિશ્રમની આ લોકોને દરકાર નથી કે લાગણીઓનું મુલ્ય નથી.

સામા છેડે ઉગતી નવી પેઢી મને છે કે વડીલો જિંદગીને જીવન કેમ જીવવું એ નથી આવડતું, તેઓ જીવનનો આનંદ નથી લઇ શકતા તેમાં અમે શું કરીએ. શું અમને અમારી રીતે જીવવાનો અધિકાર નથી? તેમની જરૂરીયાત અને મોજશોખ સીમિત હતા તો શું અમારે પણ એમજ કરવું?
બસ આજ જનરેશન ગેપની પહેલી શરૂઆત….
જૂની પેઢી પોતાની કેરિયરમાં જીવનમાં ઠરીઠામ થઇ ગઈ હોય ત્યારે નવી પેઢીના જીવનની શરૂઆત હોય છે, આવા સમયમાં તેઓ મોજમજામાં વ્યસ્ત રહે, માતાપિતા પાસેથી વારસામાં જવાબદારી પૂર્વક શીખવાથી તેઓ દુર રહે, અથવા તો પોતાની કેરિયરની શરૂઆતમાં વ્યસ્ત રહેતા હોય છે. કેટલાક વડીલો પોતાની અધુરી રહેલી ઇચ્છાઓને તેમના બાળકો દ્વારા પૂરી કરવા ઇચ્છતા હોય છે. આમ નાં થતા બાળકો આપણી ભાવનાઓને સમજતા નથી કહી જનરેશન ગેપ નામનો શબ્દ મૂકી દઈ બળાપો કાઢતા જોવા મળે છે.
વીસ પચ્ચીસ વર્ષના સમયગાળા દરમિયાન અંતર વયની સાથે સાથે વિચારોનો ભેદ પણ રહેવાનો, તેમાય ઝડપથી વિકસી રહેલી ટેકનોલોજીને કારણે આ જનરેશન ગેપ બહુ ઝડપી વધતી લાગે છે. પહેલા વ્યક્તિ માત્ર અનુભવથી શીખી શકતો એ બધુજ હવે માત્ર એક ક્લિક થી જોઈ જાણી અને સમજી શકાય છે. હવે શીખવા સાથે કોઈ વયમર્યાદા રહી નથી. પરિણામે નાના બાળકો પણ તેમની ઉંમર કરતા ઘણું વિચારે છે જાણે છે.

એક સમય હતો જ્યારે પુખ્તવયના બે વ્યક્તિઓ સેક્સ કે જાતીય આવેગો વિષે વાત કરતા સંકોચ અનુભવતા હતા, એના બદલે કિશોરાવસ્થા થી જ આવા વિષયો ઉપર મુક્તપણે ચર્ચા કરતા કે કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. આ બધા માટે ઈન્ટરનેટના માધ્યમને કારણે બધુજ ખુલ્લું થઈ ગયું છે.
આવા સમયમાં આપણે માતાપિતાએ બાળકોને સમય રહેતા સેક્સ વિષે પણ સામે ચાલીને જરૂરી જ્ઞાન આપવું રહ્યું. ઈન્ટરનેટના માધ્યમથી અધકચરું જ્ઞાન મેળવી તેઓ અવળા રસ્તે નાં ચડી જાય તે જોવાની ફરજ આગલી પેઢીની જરૂર છે. માટેજ શ્રમ અને સંકોચને સત્વરે છોડી દઈ બાળકોના મિત્ર બનવાની ખાસ જરૂર છે. આમ કરવાથી જનરેશન ગેપ પણ ઘણી ઓછી લાગશે.

જનરેશન ગેપની આ દેખીતી અને નોંધપાત્ર અસમાનતા સ્વાભાવિકપણે જૂની પેઢીને આંખમાં ખુંચે છે. મોટાભાગના વિચારે કે આ સ્વછંદતા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે. જે સાવ સાચું નથી. બીજો થોડોક એવો પણ વર્ગ છે જે કહે છે આજની જનરેશનને બે હાથમાં લાડવા જેવું છે. બધુજ સમય કરતા વહેલું અને મહેનત વિના મળી રહ્યું છે. કેટલાક તો કહે છે અમે ત્રીસ વર્ષ મોડા જન્મ્યા હોત તો સારું રહેત.આ તેમની અપૂર્ણ રહેલી ઇચ્છાઓ જ છે. આનો દેખીતો અર્થ છે કે આપણને આ બધું ગમે છે અને નાં મેળવ્યાનો અફસોસ છે.
આ પણ એક કારણ છે બે પેઢી વચ્ચેના સંઘર્ષનું ” જેને મળ્યું છે તેને બધાનો ભરપુર ઉપયોગ કરવો છે તો બીજાને નથી મળ્યું તેનો વસવસો પજવે છે.”
અમેરિકા કે પરદેશમાં રહેતા બાળકોની સ્થિતિ જો આપણે ઝીણવટથી જોઈશું તો ખ્યાલ આવશે કે તેઓ પશ્ચિમી સંસ્કૃતિ અને માતાપિતાના દેશી વિચારો વચ્ચે પિસાઈ જાય છે. ઘરમાં સંસ્કૃતિની સાચવણીના પાઠ અને માન્યતાઓ, શીખવાના અને બહાર મિત્રો સાથે કદમ મિલાવવા પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની હોય છે.

સાવ એવું નથી કે બાળકોને તેમની સ્વચ્છંદતા કે સ્વતંત્રતા વિશે ટોકવા નહિ. તેમની ભૂલ સામે કડક થઈને આંગળી પણ ચીંધવી પડે. પરંતુ એક વખત તેમના પોઈન્ટ ઓફ વ્યુ ને પણ સમજવા જોઈએ. જેમ આપણા થી આગળની પેઢીને આપણી સ્વતંત્રતા નડી હશે તેમજ નવી જનરેશનને આપણી જડતા નડવાની જ છે.

નવી અને જૂની પેઢી રિવાજો પણ બદલાતા રહ્યા છે. મુક્તતાને આપણે સ્વછંદતા કહીએ છીએ તેવીજ રીતે આજના યુવાનો જુના વિચારોને માન્યતાને કુરિવાજો કહી રહી છે. જેમ શિક્ષણને કારણે વિચારોની સ્વતંત્રતા વધે છે તેમ આગળ વધુ વિચારવાની શક્તિ અને પરિપક્વતા વધે છે. કોઈ પણ કાર્ય પાછળના સારા અને ખોટા બંને પાસાઓને ઘ્યાનમાં લેવાય છે. જે લોકો પહેલાના સમયમાં સદીઓથી ચાલી આવતા રીવાજોને સંસ્કારોને ઘ્યાનમાં લઈને આગળ વધતા રહ્યા છે તેમને આજના વિચારોની સ્વતંત્રતા નડવા સ્વાભાવિક છે. અહી સંસ્કારો સિદ્ધાંતોની લડાઈ રહેવાની..

“બદલાવ જરૂરી છે પરંતુ વિવેક અને નમ્રતા સાથે સંસ્કારો સાચવી રાખવા કોઈ પણ પેઢી કે સમય માટે અતિ આવશ્યક છે. નહીતર સમાજનું પતન થતા વાર નહિ લાગે.”

આ ભેદ અને ટકરાવ જ્યારે યુવાનો અધકચરું જ્ઞાન ધરાવતા હોય અને સામે વડીલો રૂઢીચુસ્ત હોય ત્યારે નરી આખે જોઈ શકાય તેવો હોય છે. એકલી સલાહ કોઈને પણ પસંદ નથી. જ્યાં મા-બાપ પોતાના બાળકોને વિચારવાની સ્વતંત્રતા નથી આપતા કે તેમને સમજવાની કોશિશ નથી કરતા તેમના બાળકો જીદ્દી કે બળવાખોર બને તો નવાઈ નથી. આમ બનતા તેમની પ્રગતિ પણ અટકી જાય છે.

સુહાગ અને માન્ય બંને બચપણથી મિત્રો રહ્યા હતા. સુહાગના પિતા કરિયાણાની દુકાન ચલાવતા સામાન્ય માણસ હતા. જ્યારે માન્યના પિતા ગવર્મેન્ટ નોકરી કરતા હતા. હાઈસ્કુલ સુધી બધુજ બરાબર હતું. કોલેજના દિવસો દરમિયાન ફેશન અને લાઈફસ્ટાઈલના ફેરફારોને કારણે સુહાગના ઘરે રોજ કંકાસ થતા રહ્યા.
” જો આમજ રૂપિયા ઉડાવવાના હોય તો સારું છે કે તું મને છૂટો કરી મારી આ દુકાન સંભાળી લે. તારા શોખ તું જાતે કમાઈને પુરા કર. મને નથી લાગતું કે તું જીવનમાં કઈ આગળ કરી શકે” વારંવાર આવા વાક્યો અને ઉગ્ર તણાવને કારણે સુહાગ કોલેજના પહેલાજ વર્ષમાં નાપાસ થયો. હારી થાકીને પિતાની દુકાન ઉપર બેસી ગયો.

બીજી તરફ માન્યની લાઈફસ્ટાઈલ પણ બદલાતી હતી જેને તેના પિતા ઝીણવટ થી જોતા રહ્યા.
” દીકરા તને ગમે તે રીતે તું મઝા કર પરંતુ આપણા કુટુંબની શાન ઉપર કોઈ આંગળીનાં ચીંધે એ જોવાની ફરજ પણ તારી જ છે. અને હા રૂપિયા જોઈએ તો જરૂર કહેજે. બસ હવે થી ઘર ખર્ચ અને તારો હિસાબ બધું તુજ લખવાનો રાખ. મારું આટલું કામ તો તું કરીજ શકે ને? હવે તું મોટો થઇ ગયો છે તો મારે એક કામ ઓછું રહે.” આમ માન્યના પિતાને તેને રોજીંદો ઘરખર્ચ લખતા કરી દીધો. જેના પરિણામે એકજ મહિનામાં તેને સમજાઈ ગયું કે ઘરનું બજેટ કઈ રીતે ચાલે છે. પોતાની જવાબદારી એ જાતે સમજી ગયો.
આમ રૂપિયા પૈસાનું મૂલ્ય સાથે સંબંધોનુ મૂલ્ય પિતાએ કુનેહથી સમજાવી દીધું. બાળકોને તેમની ભૂલ અને જવાબદારી બતાવવી એ પણ એક કળા છે.

“જનરેશન ગેપનો હાઉ એ તો પાણીનો પરપોટો માત્ર છે. હવામાં વિલીન થઇ જતા તેનો અહેસાસ પણ નહિ રહે. બસ તેને તોડતા આવડવો જોઈએ. “

 

સફળતાની સીડી.


રેખા વિનોદ પટેલ.- ૨૩/૫/૨૦૨૦

આજથી ૨૯ વર્ષ પહેલા લગ્ન કરીને અમેરિકા આવી ત્યારથી જીવનમાં આવેલા બદલાવો અને અનુભવો અહી ટાંકી રહી છું.

મારો જન્મ 1069 માં વાલવોડ ચરોતરના ખેડા જીલ્લાના નાનકડા ગામમાં થયો હતો ,નાનપણ થી ભાદરણ રહેતી હોવાથી ભાદરણ મારું ગામ બની ગયું છે
પિતા નવનીતભાઈ ખેતી કરતા હતા સાથે ઘંઘો પણ કરતા હતા ,અમે ત્રણ ભાઈબહેન હું મોટી અને પછી નાની બહેન પછી ભાઈ.
પણ હું મારા પિતાની લાડકી દીકરી હતી ,હું એટલું કહી શકું કે મારો પડ્યો બોલ બઘા ઝીલતા ,કારણ મારા પપ્પા બધાને મારું કહ્યું કરવા કહેતા કારણ હતું કે તેમને મારી સુઝબુઝ અને સમજદારી ઉપર વિશ્વાસ હતો અને હું છેવટ લાગી તેમના વિશ્વાસ ઉપર ખરી ઉતરી તેનો મને ગર્વ છે.

નાનપણથી મારા આગવા ગુણોમાં હું જેટલી સંવેદનશીલ હતી તેટલીજ વાચાળ અને નેતૃત્વ ઘરાવતું વ્યક્તિત્વ હતું ,થોડી ગરમ મીજાજની માલિકણ હતી નાનપણથી કોઈના તાબા હેઠળ કશું પણ કામ કરવું બહુ અઘરું લાગતું , છતાં પણ લાગણી વાળી હતી તો મિત્ર વર્તુળ ઘણું હતું
એ વખતે ગામડામાં જ્યાં છોકરીઓને બહુ બહાર એકલી જવા દેવામાં લોકો સંકોચ અનુભવતા તેવા વખતમાં મારા ઉપરના વિશ્વાસના કારણે મારા મારા પિતા મને સંપૂર્ણ છૂટ આપતા હતા.
નાનપણ થી કવિતા જુના ગીતો ગઝલોનો ભારે શોખ હતો આ શોખ મારા મમ્મી-પપ્પા માંથી વારસામાં ઉતાર્યો તેમ હું કહી શકું છું ,નાનપણથી વાચનનો ગાળો શોખ હતો ભાદરણની લાયબ્રેરી માં મોટા ભાગના પુસ્તકો વાચી લીધા હતા આખું વેકેશન વાંચવામાં જતું હતું
અને આજ શોખના કારણે હું મારું અલગ અસ્તિત્વ બનાવી શકી છું.
હું નાનપણ થી માનતી હતી કે ઉત્તમ પુસ્તકો મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે…

ભાદરણ રહીને મેં બીએસસી કેમેસ્ટ્રી પૂરું કર્યું
આ પહેલા કોલેજના બીજા વર્ષમાં 19 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા હતા,
વિનોદ પટેલ મુળગામ રઢુ ,તેઓ બીકોમ એલએલબી કરી અમેરિકા ગયા હતા ,ગ્રીનકાર્ડ લઇ પાછા આવ્યા અને મારા પપ્પાને તે પસંદ આવતા લગ્ન નક્કી થયા અને 15 દિવસમાં લગ્ન લેવાઈ ગયા
કોણ જાણે વિધિની વક્રતા શું હશે કે મારા લગ્નના પાંચમા દિવસે મારી એસવાયની પરીક્ષા શરુ થતી હતી અને તેજ દિવસે અચાનક ટુકી માંદગીમાં પપ્પાને હોસ્પિટલ ખસેડાયા, આ બાજુ હું પહેલું પેપેર લખતી હતી ત્યાં બીજી બાજુ મારી રાહ જોવાતી હતી કે ક્યારે હું ઘરે આવું અને સાંજ પડતા પહેલા મારા વહાલા પપ્પાના દેહને અગ્નિદાહ અપાય ,બહુ કારમી સ્થિતિ વચ્ચે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પરીક્ષા આપી અને સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઇ હતી.

બસ એક સુખ પપ્પા જતા જતા આપી ગયા હતા કે મને બહુજ મજબુત અને પ્રેમાળ હાથમાં સોપી ગયા હતા.
વિનોદ મારા પતિ ખરેખર એક ઉમદા વ્યક્તિત્વના માલિક છે, પપ્પાના ગયા પછી મારા પિયરના ઘરને જાણે તે ઘરનો મોટો દીકરો હોય તેમ સંભાળ્યું હતું તેવું કહેવામાં જરાય અતીશયોક્તિ નથી
તેમને મારા ઘરને પોતાનું ઘર સમજી મારા નાના ભાઈ બહેનોને અહી સેટલ થવામાં પણ બહુ મદદ કરી હતી ,અને ખાસ વાત તો એ કે ક્યારેય મને આ બાબતે સંભળાવ્યું નથી , તે કાયમ બધાની ભૂલો માફ કરતા આવ્યા છે અને તેમના થી થયેલી ભૂલને પણ નમ્રપણે સ્વીકારી લેવામાં માને છે “ભૂલ ક્યા અને કોનાથી નથી થતી પરંતુ તે ભૂલને ભૂલીને આગળ વધવામાં માને છે”. એક દીકરો કરે તેનાથી વધુ તેમને મારા ઘર માટે કર્યું છે અને આજ કારણે હું પણ તેમના ઘર એટલેકે મારી સાસરીને મારીજ માનીને તેમાં એકરૂપ થઈ ગઈ છું.

અમે અમેરિકાના ડેલાવર સ્ટેટમાં જે એરિયામાં રહેતા હતા ત્યાં નવા નવા આવેલા ઇન્ડિયનો તો ઠીક ધોળીયા પણ આવતા ડરતા હતા એકદમ બ્લેક નેબર હુડ હતું , આખું બ્લેક નેબરહુડ હતું જ્યાં ત્રણ માઈલ સુધી કોઈ ખાસ કોઈ વ્હાઈટ પીપલ નહોતા ,ચારે બાજુ બધાજ બ્લેક પીપલ અને તે પણ વંઠેલા….. કોઈ ખાસ સારી જોબો વાળા નહોતા ,કેટલાક તો ડ્રગ્સના ધંધામાં હતા કોઈક માફિયા હતા ,ક્યારેક ગન નો પણ અહી ખુલ્લે આમ ઉપયોગ થતો જોવા મળી જતો ,પણ દેશમાંથી થોડાજ સમય પહેલા આવેલા વિનોદ પાસે ખાસ એવી કોઈ મૂડી નહોતી કે કોઈ સારી જગ્યાએ વધુ પૈસા આપીને સ્ટોર લઇ શકાય ,આથી ઓછા પૈસે તે ખતરનાક એરિયામાં ધંધો લેવા તૈયાર થઇ ગયા . તેમનામાં હિમત અને બુદ્ધિ ભારોભાર હતા,તે પહેલાજ દિવસ થી આવા કોઈ તત્વો સામે ડર કે બીક અનુભવતા નહોતા આથી તે ઝડપથી તેમની સાથે હળી ગયા
અહી નીચે કન્વીનીયન સ્ટોર હતો અને ઉપર અમારું એપાર્ટમેન્ટ હતું ,આવડત અને સ્વભાવની મીઠાશ ને કારણે અહી બધા સાથે સારી એવી મિત્રતા કેળવી લીધી હતી , બરાબર વર્ષ પછી જ્યારે હું અહી આવી ત્યાં સુધીમાં તો બધા તેમને માં અને પ્રેમ થી બોલાવતા હતા અને તેનાજ કારણે દેશમાંથી સાવ નવી આવેલી હું જેણે કાળીયાઓ જોયા પણ નહોતા તે બહુ જલ્દી બધાની સાથે ટેવાઈ ગઈ,

શરૂશરૂમાં બહુ બીક લાગતી પણ વિનોદની હિંમત અને સાથના કારણે હું બહુ ટુકા સમયમાં બરાબર ગોઠવાઈ ગઈ મને અજાણ્યા દેશમાં ગમવા માંડ્યું છતાય પણ દેશની યાદ દિલમાં કંડારાઈ ગઈ હતી અહી નાતો તે વખતે ગુજરાતી વાચન માટે કઈ ખાસ મળતું અને ના તો ટેલીવિઝન માં કોઈ હિન્દી અને ગુજરાતી ચેનલ આવતી છતા પણ જ્યારે દેશમાં થી આવતી ત્યારે બેગમાં વધારે કરીને પુસ્તકો લઇ આવતી।
બરાબર ત્રેવીસમા વર્ષે નીલીમાનો જન્મ થયો મેં મારું બધું સુખ તેને મોટી થતા જોવામાં મેળવવા માંડ્યું પણ વર્ષ પછી જ્યારે મારી દીકરીનો જન્મ થયો તેમણે તરત નક્કી કરી લીધું બસ હવે અહીંથી મુવ થવું પડશે કારણ અમારી દીકરી ઉપર અહીના વાતાવરણ ની કોઈ પણ અસર પડે તેમ તે ઈચ્છતા નહોતા।..ત્યાર પછી તરત બે વર્ષમાં અમે બીજા બે લીકર સ્ટોર લીધા અને દીકરીના શુભ પગલાથી આગળ વધતા રહ્યા
બહારથી બધું બરાબર હતું બસ મને દેશ બહુ યાદ આવતો આ તે જાણતા હતા આથી ધંધા ઉપર ગમેતેમ ગોઠવણ કરીને પણ મને દર વર્ષે દોઢ બે મહિના મને ઇન્ડિયા લઇ જતા

પાચ વરસ પછી નાની દીકરી શિખા નો જન્મ થયો, વિનોદ મને બહુ સમજતા હતા તે જાણતા હતા બધું હોવા છતાં મારો શોખ ક્યાંક દબાય છે। ..
બરાબર આજથી ૨૦ વર્ષ પહેલા નવુંનવું કોમ્યુટર બજારમાં આવતું હતું તે મારી માટે લઈ આવ્યા જેથી કરીને હું ઈન્ટરનેટ દ્વારા હું મારા શોખ પ્રમાણે વાચન કરી શકું
બંને દીકરીઓ અને વિનોદના સ્નેહ માં તરબોળ થતા જ્યારે પણ સમય મળતો હું કોપ્યુટરમાં સમય વિતાવતી શરુ શરૂમાં રાઝા ડોટ કોમ અને લેન્ગું ઉપર થી હું ગુજરાતી લખતા સીખી ગઈ પછી તો બસ નાની કવિતાઓ લખતી હતી ક્યારેક ટુકા વાક્યો હતી

એવામાં ફેસબુક નું ચલન વધુ અને જુના મિત્રોના સંપર્કમાં રહેવાના આસય થી હું છ વર્ષ પહેલા ફેસબુકમાં જોડાઈ,ત્યાં શરૂશરૂમાં બધા પોતાને આવડે તેવું લખતા હતા અને વોલ ઉપર પોસ્ટ મુકતા હતા ,તેમને આમ લખતા જોઈ મારી પણ હિંમત વધી અને મે ટુકા ટુકા વાક્યો અને સાદી કવિતાઓ લખવાનું શરુ કર્યું
શરૂવાતમાં મને ફેસબુકમાં રોજ સવારે આમ કવિતા ગઝલો લખતી જોઈ કેટલાક સગા સબંધી મારી મજાક ઉડાવતા કે “તમે આ શુ માંડ્યું છે?” કેટલાક તો વિનોદને કહેતા પણ ખરા કે આમ ફેસબુક ઉપર નાં લખાય બધા ને ત્યાં આપણે જાણતા નથી કોણ કેવા હોય તેની ખબર નથી અને રેખાબેન આમ લાખેતે સારું નાં કહેવાય ” પરંતુ બધાની પરવા કર્યા વિના મારા પતિ મને હમેશા કહેતા ” તને જે મેં છે જેમાથી સંતોષ મળે છે તે તું કર ,લોકોની ચિંતા નહિ કરવાની ” બસ તેમના આજ શબ્દો ના કારણે આજે હું લેખન જગતમાં મારી જગ્યા બનાવી રહી છું.

મારે મારા લેખન માટે કે કોઈક વાર જરૂરી માહિતી માટે આજે પણ કોઈને ગમેત્યારે ફોન કરવો પડે કે કોઈનો ફોન આવે પછી ભલેને તે સ્ત્રી હોય કે પુરુષ પણ વિનોદ કદી પણ મને તે બાબતે પૂછપરછ કરતા નથી સંપૂર્ણ વિશ્વાસ સાથે મને સાથ આપે છે કે હું લેખન જગતમાં કઈક કરી શકું જે મારો શોખ નહિ પણ હવે જીવનનો એક ભાગ બની ગયુ છે,

એક વખત બન્યું એમકે મારે એક લેખ “ફીલીન્ગ્સને “અમેરિકા લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી” બીજા દિવસે સવારે આપવાનો હતો જે શરુ પણ નહોતો થયો મને તે બાબતે ચિંતા હતી કે મારાથી નહિ મોકલાય ત્યારે વિનોદેજ મને સધિયારો આપતા કહ્યું હજુ ઘણો સમય છે તું શાંતિ થી લખ હું ડીનર બહાર થી મંગાવી લઉં છું અને તેમને પીઝા ઓડર કરી દીધા જેથી રસોઈ બનાવવાનો સમય બચી જાય અને મેં તે લેખ પૂરો કરી મોકલી આપ્યો
હું ધીમેધીમે આગળ વધતી હતી આ દરમિયાન મારા પતિનો બહુજ સજ્જડ સાથ મળતો રહ્યો ક્યારેક સમયના અભાવમાં હું મારી જવાબદારી ચુકી જતી પરંતુ તે પ્રેમથી બધું ચલાવી લેતા હતા,

મેગેઝીનમાં માટે ટુકા સમય ગાળામાં લખાણ આપવાનું હોય તેવા સમયે ક્યારેક મારે લખવાનું વધી જાય તો બહારના ઘણા કામ તે હસતા મ્હો એ પતાવી લે છે.
આજ કાલ લેખન જગત માં પ્રવેશ્ય પછી મારે બહાર બીજા ઘણા લેખકો કે કવિઓ કે એડિટર સાથે સંપર્ક રાખવો પડે છે પણ વિનોદ ક્યારેય મને આ બાબતે ટોકતા નથી કે મારા કામમાં ઝાઝું પૂછપરછ કરી દખલ અંદાજી કરતા નથી , મારા ઉપરનો તેમનો સંપૂર્ણ વિશ્વાસ એજ મારી શક્તિનો મુખ્ય આધાર છે

ક્યારેક મારા મગજમાં અલગ અલગ લખાણ બધું એક સાથે ચાલતું હોય ત્યારે ઘરમાં ઘણી એવી વાતો હોય જે ખ્યાલ બહાર રહી જતી , ક્યારેક તો એમ પણ બન્યું છે કે વિનોદને સ્ટોર ઉપર આપવા બનાવેલું લંચ પણ આપવાનું ભૂલી જાઉં અને જ્યારે યાદ આવે તો હું મારી ભૂલ તેમને જણાવી દેતી ત્યારે બસ તે હંમેશા હસતા હસતા કહેતા ” બસ હવે દુઃખી નાં થઈશ હું બહાર થી મંગાવી લઈશ પણ હા લખવામાં ને લખવામાં મને ના ભૂલી જઈશ ”
ખરેખર પોતાના માણસો ના સાથ વિના ડગલું પણ ચાલવું મુશ્કેલ હોય છે તે વાત સાચી છે

सुनाऊँ धड़कन का ताल शब्दों में तुम सजे हो
प्रीत की है भाषा मनोहर,चेतना में तुम जड़े हो
प्यार से निहार लो साथी …
मुस्कुराते लब है ,और आँखोमे तुम बसे हो
तुम ही चारो तरफ हो,शब्दोंमें तुम रचे हो
प्यार से निहार लो साथी …
आँखे है मदभरी,फूलोसे ज्यादा तुम जचे हो
संग तुम्हारा सतरंगी,खुशियों से तुम लदे हो
प्यार से निहार लो साथी …
मै सिर्फ हुँ परछाई, इसी दिल में तुम पले हो
तेरे पैरो पे किये है सजदे,दुआ में तुम भरे हो
प्यार से निहार लो साथी …
रेखा पटेल (विनोदिनी )
વિનોદ સાથે હું ડેલાવર સ્ટેટમાં હું છેલા 24 વર્ષથી રહું છું મારા પતિનું અહી એક સ્થાન છે , તે પોતે પણ બીઝનેશમાં બહુ આગળ છે ,અનેક અલગઅલગ ધંધાને બહુ સાહજિકતા થી હેન્ડલ કરે છે ,આટલું કરતા પણ તે દરરોજ સમયસર ઘરે આવી જાય છે મને અને મારી બને દીકરીઓને પુરતો સમય આપે છે , મારી બંને દીકરીઓ ને હું મારાથી બનતા તમામ ભારતીય સંસ્કારો આપી રહી છું અને સાથે સાથે તેમને જે જગતમાં રહેવાનું છે તે જગતમાં પણ પગભર થવા માટે ની સ્વતંત્રતા આપું છું તેના કારણે મારી બને દીકરીઓ જેમની ઉમર 21 અને 16 છે તે મારાથી બહુ નજીક છે મને તેમની સારી ખોટી વાતોમાં સામેલ કરે છે મારી સલાહ લે છે અને મને સાભળે છે સાથે સાથે માને છે ,મને આ વાતનું બહુ ગર્વ છે..

વિનોદ સ્વભાવે પણ એટલાજ મિતભાષી છે કોઈને દુઃખ થાય કે ખરાબ લાગે તેવા શબ્દો કદી ઉચ્ચારતા નથી ,ના ગમે તેવી વાતો થી સમજી કરીને દુર રહે છે ,તેમના આ સ્વભાવના કારણે તે બધાને પ્રિય છે ,તેમનો બીજો એક ખાસ ગુણ હું અહી વ્યક્ત કરતા મારી જાતને રોકી સકતી નથી અને તે છે કે તેમના વર્તનમાં કદી રૂપિયા પૈસાની મોટાઈ દેખાતી નથી,અને કોઈ સારા કામ માટે જો દાન ઘરમ કરવાનું હોય તો બહાર કોઈને જણાવે પણ નહિ ,
એક દાખલો જો હું બતાવું તો અમાતા ડેલાવર સ્ટેટમાં થોડા વર્ષો પહેલા ભગવાન સ્વામીનારાયણ નું મંદિર થાપવાની વાત આવી,જેમાં કેટલાક હરિભક્તો અમારા ઘરે આવ્યા અને આ બાબતે ચેકની માંગણી કરી ,આ વખતે મંદિરની યોજના માત્ર પેપર ઉપર હતી, તેની માટે જમીન પણ લેવાઈ નહોતી છતાં પણ વિનોદે કોઈને કઈ પણ કહ્યા પૂછ્યા વિના મોટી રકમનો ચેક લખી આપ્યો. અને મહત્વની વાત છે કે ઘરમાં અમે વૈષ્ણવ ઘર્મમાં માનીએ છીએ .
કારણ માત્ર એટલુજ કે તેમને પ્રમુખ સ્વામીના સંચાલન હેઠળ ચાલતા આ ઘર્મની એક વાત હંમેશા આકર્ષતી હતી અને તે હતી કે તેમના દ્વારા આવનારી પેઢીમાં થતા સંસ્કારોનું સિંચન, તે હંમેશા માને છે કે મજબુત સમાજ માટે આવનારી પેઢીમાં સારા સંસ્કારોનું નિરૂપણ કરવું અતિ આવશ્યક છે,જે એક હકીકત છે. મને અભિમાન છે હું આવા વ્યક્તિની જીવનસંગીની છું .

સાસરીમાં ત્રણ ભાઈઓ અને એક બહેનના કુટુંબમાં બધાને પ્રિય છે ,ખાસ કારણ તેમણે કડી પણ બાપ દાદાની મિલકતમાં રસ નથી રાખ્યો કદી કોઈ પાસે અપેક્ષા નથી રાખી ,તે સંયુક્ત કુટુંબમાં માને છે .તેઓ હંમેશા કહે છે જે માગવાથી મળે તે આપણું નાં કહેવાય અને નશીબ કરતા ઓછું કદી મળવાનું નથી. કહેવાય છે ને કે જેવા સાથે રહો તેવા ગુણ તમારામાં આવી શકે છે તેનું ઉદાહરણ સ્વરૂપે, મારો સ્વભાવ નાનપણ થી ઉગ્ર હતો પરંતુ આજે હું બહુ સમજુ અને શાંત બની છું તેનું મુખ્ય કારણ છે વિનોદનો શાંત અને સમજદારી ભર્યો સ્વભાવ .
મારા પતિ એક નોલેજેબલ અને ડાઈનેમિક પર્સનાલીટી ધરાવતા વ્યક્તિ છે છતાં પણ સામાન્ય રીતે જોતા તે સાવ સામાન્ય વ્યક્તિ લાગે છે તેનું કારણ છે તેમની સિમ્પલીસીટી. તે કામ વગરના દેખાડા અને દંભની વિરુઘ્ઘ માં છે “તે માને છે તમારામાં કંઈક સારું હશે તો સામે વાળા જાતે બોલશે તમારે તેમને કહેવાની જરૂર નહિ પડે “.

ખિસ્સામાં માત્ર વીસ ડોલર લઈને આવેલા મારા પતિ આજે પચીસ વર્ષમાં સારી માત્રામાં રેન્ટલ પ્રોપર્ટી ઘરાવે છે, સાથે નાના બાળકોના ભણતર માટેની બે પ્રી સ્કુલ સાથે લગ્ન માટેનો વેડિંગ હોલ,ત્રણ લીકર સ્ટોર અને રેસ્તોરન્ટ માં માલિક છે। મને ગર્વ છે કે આટલી ધંધાકીય વિચક્ષણ બુદ્ધિ ધરાવતા વ્યક્તિ સાથે હું જીવનભર જોડાઈ ગઈ છું ,વિનોદ સાથેના લગ્ન પછી મેં દુઃખ શું છે તે જોયું નથી અનુભવ્યું નથી અને કસાચ આજ કારણે મારી રોજની પ્રાર્થનામાં તેમના સુખ સિવાય હું બીજું કઈ યાચતી નથી

તેઓ હંમેશા મારી ખુશીમાં પોતાની ખુશી માને છે અને તે જાણે છે લેખન વાંચન મારી ગમતી પ્રવૃત્તિ છે એથી તેમના સતત પ્રોત્સાહન ને કારણે હું ધીમેધીમે કવિતાઓ પછી અલગઅલગ લેખ અને ત્યાર બાદ છંદ સીખી ગઝલ અને અત્યારનો મારો શોખ છે તે સ્ટોરી લખતી થઈ ..
મારું નશીબ અને આવડત બંનેના કારણે મારી લખાએલી ત્રીજી જ ટુકી વાર્તા જે ચિત્રલેખાના તંત્રી શ્રી ભરત ઘેલાનીની નજરે ચડી ગઈ અને મને 20013 ના ચિત્રલેખા ના દિવાળી અંકમાં સ્થાન મળ્યું, મને જરૂર હતી એક ટેકાની બસ આનાથી વધુ મોટો ટેકો શું હોઈ શકે ?

ત્યાર બાદ મેં પાછું વાળીને નથી જોયું.. મારી બીજી વાર્તા માર્ગી મેગેઝીનમાં આવી , જેના ઉપર હ્યુસ્ટન નાં એક ગ્રુપ સહીયારા સર્જને સર્જેલી નવલકથા”રૂપ એજ અભિશાપ” બહાર પાડી જેને એમેઝોન ઉપર તરતી મૂકી ,ત્યાર બાદ “લોહીનો સાદ” , “જિંદગી પ્યારકા ગીત હૈ ” આમ ત્રણ નવલકથા સહિયારા સર્જન દ્વારા બહાર પડી તદુપરાત હાલ લાગણીઓનો ચક્રવાત મારી એક નવલકથા પબ્લીશ થઇ ચુકી છે તેમાં મને વિનોદનો માનશીક રીતે બહુજ સપોટ રહ્યો છે

આજે હું ભારતના એક નામી ફીલિંગ્સ મેગેઝીન માં “અમેરિકાની આજકાલ” કોલમ લખી. જેમાં હું અમેરિકામાં સમાજમાં રહેલી સત્યતાને મારી કલમ દ્વારા બહાર ભારતમાં લોકો સુધી પહોચાડવાનું કામ કરું છું, આજ ફીલિંગ્સ મેગેઝીનમાં મારી ઘણી વાર્તાઓ પ્રસ્સિદ્ધ થઇ ચુકી છે.

ત્યારબાદ ગુજરાતી મેગેઝીન “અભિયાનમાં” મારી નિયમિત કોલમ ” અમેરિકાના ખત ખબર ” બે વર્ષ વીકલી કોલમ તરીકે પ્રસિદ્ધ થઈ રહી.

હાલમાં હું ફીલિંગ્સ સાથે ફરી જોડાઈ મારા પ્રવાસ વર્ણન ” દેશ વિદેશની વાતો” કોલમ લખી રહી છું. સાથે દિવ્યભાસ્કર ઓન લાઈન સાથે NRG ન્યુઝ રિપોર્ટર તરીકે જોડાઈ છું. અમેરિકામાં ન્યુ જર્સી સ્થિત “ગુજરાત દર્પણ” અને એટલાન્ટાના “રાષ્ટ્ર દર્પણ” માં મંથલી કોલમ આપું છું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ પુસ્તકો પૈકી “તડકાનાં ફૂલ” – ટુંકી વાર્તાઓ, “એકાંતે ઝળક્યું મન ” – કવિતાઓનું પુસ્તક , ” અમેરિકાની ક્ષિતિજે” – અમેરિકા વિશેના અવનવા આર્ટીકલ્સ – જે પાર્શ્વ પબ્લીકેશન અમદાવાદથી પબ્લીશ થયેલા છે

આ પહેલા ગુર્જર પ્રકાશન માંથી ટૂંકી વાર્તાઓનો સમૂહ ” ટહુકાનો આકાર, સાથે બીજા બે પુસ્તકો લીટલ ડ્રીમ્સ, સાથે નવલકથા લાગણીઓનો ચક્રવાત, એમ કુલ મળીને છ પુસ્તકો પબ્લીશ થયેલા છે.

મારું એકજ ઘ્યેય છે કે હું મારા લેખન કાર્ય દ્વારા સમાજને સારા સંદેશા પુરા પાડુ તેથીજ મારા લેખ હોય કે કવિતા કે પછી સ્ટોરી હોય,દરેકમાં કઈકને કઈક ભાવ કે સમાજને કોઈ સારો મેસેજ મળે તેવી વાત વધારે હશે

લેખન ક્ષેત્રમાં આગળ વધવા ફેસબુકના અજાણ્યા છતાં પોતાના થી અદકા લાગતા મિત્રોનો સાથ પણ મહત્વનો છે જેમના સતત પ્રોત્સાહન ના કારણે આગળ વધવાની હિંમત મળતી રહી છે ,

વિનોદ બહુ સમજુ અને શાલીન વ્યક્તિત્વના માલિક છે ,ખોટો દેખાડો કે દંભ તેમના વ્યક્તિત્વથી કોશો દુર છે તે નાનામાં નાના માણસને પ્રેમ થી આવકારે છે તેમના વર્તનમાં ક્યારેક આછકલાઈ કે અભિમાન દેખાતું નથી ,પણ હું અભિમાન સાથે કહી શકું કે હું આવા વ્યક્તિની અર્ધાંગીની છું જે મારો સહારો છે મારા ઘરનો મોભ છે ,જેની છત હેઠળ હું અને મારી બંને દીકરીઓ દુનિયાની દરેક આફતથી રક્ષીત છીએ.

આથી કરીને મેં મારા બ્લોગનું નામ પણ” વિનોદિની” રાખ્યુ છે https://vinodini13.wordpress.com તેનું કારણ છે કે જેના સાથ અને સહકારથી હું આજે અહી સુધી પહોચી સકી છું તે નામ ને હું સતત મારી સાથે સાંકળી રાખવા માગું છું
હું આજે જે પણ કઈ મેળવી શકી છું તેનો મોટાભાગ નો શ્રેય વિનોદને આભારી છે બાકીનો થોડો મારી મહેનત અને લગનને આપુ છું ,આ લેખન કાર્ય મારા અંતરનો ખોરાક બની ગયો છે અને આજે હું મારા શોખને કારણે આંતરિક રીતે પણ સમૃદ્ધ છું.
આશા રાખું કે મારા અંતરના ઊંડાણ માંથી નીકળેલું આ બનાવટના આવરણ વિનાનું સત્ય તમને સ્પર્શી શક્યું હોય

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ એસ એ )
R Patel (vinodini)

https://vinodini13.wordpress.com

 

અમેરિકાની મિસીસિપી.

અમેરિકાની મિસીસિપી મહા નદી, ફાધર ઓફ વોટર- રેખા પટેલ (યુએસએ)

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં નાની મોટી આશરે 2,50,000 થી વધુ નદીઓ છે. યુએસએ ની સૌથી લાંબી નદી મિઝોરી ૫૪૦ માઈલ લાંબી નદી છે. પરંતુ ૨૩૪૦ માઈલ લાંબી મિસિસિપી પાણીની દ્રષ્ટિએ સૌથી ઊંડી નદી છે.

યુકોન ૧૯૮૦ માઈલ, રિયો ગ્રાન્ડે ૧૯૦૦ માઈલ, સેન્ટ લોરેન્સ ૧૮૯૦ માઈલ લાંબી પાંચ નદીઓમાં સ્થાન મેળવે છે. ઑરેગોન અને ઇડાહોની સરહદે આવેલી હેલ્સ કેન્યન યુનાઇટેડ સ્ટેટ્સની સહુથી ઊંડી નદી છે જે ૬૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં વહે છે. યુએસએ ની સૌથી લાંબી નદી મિસૌરી અને મિસીસિપી ઉત્તર અમેરિકામાં સૌથી લાંબી નદી પ્રણાલીની રચના કરવા માટે બંને ભેગી થઈ વિશ્વની ચોથી સૌથી મોટી નદી પ્રણાલી બનાવે છે.

મિસિસિપી રાજ્યનું નામ આ નદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ૧૬૯૫મા રેડ ઇન્ડિયન દ્વારા અપાયું હતું. “મિસિસિપિ નો અર્થ મહા નદી અને ફાધર ઓફ વોટર. જેમ આપણે ત્યાં નદીઓની માતા ગંગા નદી તેમ આ નદીઓનો પિતા તરીકે માન મેળવી વિરાટ સ્વરૂપે અમેરિકા અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં વહી રહી છે. મિસિસિપી સ્ટેટને તેના આજુબાજુના વિસ્તારોમાં મેગ્નેલીયા ના સુંદર ફોલો ઘરાવતા વૃક્ષોને કારણે મેગ્નેલીયા સ્ટેટ પણ કહેવાય છે.

મિસિસિપી નદી યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તે લ્યુઇસિયાનામાં મેક્સિકોના અખાતથી મિનેસોટાથી દક્ષિણમાં 2,340 માઇલ દક્ષિણ તરફ વહે છે. સાગર સમી દેખાતી આ મિસિસિપીનો સ્ત્રોત મિનેસોટામાં આવેલું ઇટાસ્કા તળાવ છે.
યુનાઇટેડ સ્ટેટ્સના પ્રારંભિક ઇતિહાસમાં, મિસિસિપી નદી 1803 માં ફ્રાન્સ પાસેથી લ્યુઇસિયાના પ્રદેશ અને મિસિસિપી નદીને ખરીદી હતી. આ પ્રદેશ પહેલા તે ફ્રાંસની હકુમત હેઠળ હતો જે પાંચ પેનીથી એક એકર ના ભાવે ખરીદયો હતો. મિસીસિપી નદી દેશની પશ્ચિમની સરહદની શરૂઆતનું પ્રતીક હતું જ્યાંથી અમેરિકાની બોર્ડર શરુ થતી હતી. ૧૮૦૦ની સાલમાં આ નદીમાં સામાનની અવરજવર માટે જહાજોની અવરજવર રહેતી હતી. જે આજે પણ દેશના મધ્યથી ન્યૂ ઓર્લિયન્સના બંદર સુધી અને મેક્સિકોની અખાતમાં માલ લઇ રહી છે. ૧૮૦૦ની સાલમાં મિસીસિપી નદી ઉપર સહુ પ્રથમ તરતો કસીનો બંધાયો હતો. તે વખતે ધનવાન અને જુગાર રમવાના શોખીનો માટે અહી સ્વર્ગ રચાયું હતું. જુના વખત થી લઈને આજે પણ આ નદીના કિનારા આનંદપ્રમોદ માટે પ્રખ્યાત રહ્યા છે.

મિસિસિપી નદી અમેરિકાના ઘણા રાજ્યોમાંથી પસાર થાય છે. લ્યુઇસિયાના, મિસિસિપી, મિસૌરી, ટેનેસી, અરકાનસાસ, કેન્ટકી, ઇલિનોઇસ, આયોવા, વિસ્કોન્સિન અને મિનેસોટા , મીન્યેપોલીસ સહિતના ઘણા રાજ્યોમાં છલકાતી વહેતી જાય છે. જ્યાં એ ઘણા રાજ્યો વચ્ચે સરહદ અલગ પાડવાનું પણ કામ કરે છે. મિનેપોલિસ, સેન્ટ લૂઇસ, મેમ્ફિસ અને ન્યૂ ઓર્લિયન્સ જેવા બીજા શહેરો માંથી તે વચોવચ વહેતી જાય છે. તે આમાંના ઘણા રાજ્યો વચ્ચે સરહદ તરીકે કાર્ય કરે છે.

મિસિસિપી નદીને ત્રણ વિભાગોમાં વહેંચી છે. જેમાં અપર મિસિસિપી, જ્યાં તેનું ઉત્પત્તી સ્થાનનું મિઝોરી નદી સાથે સંગમ થાય છે. મિડલ મિસિસિપી, જે મિઝોરીથી ઓહિયો નદી સુધી વહેતી આવે છે. અને લોઅર મિસિસિપી, જે ઓહિયોથી મેક્સિકોની અખાત સુધી વહે છે.

ઉપલા મિસિસિપી નદી પરનો સૌથી મોટો લોક અને ડેમ મિનેયાપોલિસમાં સેન્ટ એન્થોની છે. ડેમની ઉપર, નદીની ઊંચાઈ ૭૯૯ ફીટ (૨૪૪ મી.) છે. ડેમની નીચે, નદીની ઊંચાઈ ૭૫૦ ફૂટ (૨૩૦ મી.) છે. આ ૪૯ ફૂટ (૧૫ મીટર) ડ્રોપ મિસિસિપી નદીનો સૌથી મોટો છે. અહી સચવાએલા પાણી થી અસંખ્ય શહેરો અને ખેતી લાયક જમીનને પાણીનું વિતરણ મળતું રહે છે. લુઝીયાના પાસે એકઠાં થયેલા કાંપની જમીનને ડેલ્ટા તરીકે ઓળખાય છે જ્યાં કપાસની ખેતી ખુબજ પ્રમાણમાં થયા છે.
મિસિસિપીનાં ત્રણ ભાગોમાં અસંખ્ય કુદરતી અને કૃત્રિમ સુંદર સરોવરો આવેલા છે. વધુની ગ્રાન્ડ રેપિડ્ઝ, મિનેસોટા નજીક વિન્નીબીગોશિશ તળાવ છે. વિસ્કોન્સિનના લા ક્રોસ નજીક લેક ઓનાલાસ્કા વગેરે સરોવરો સાથે માર્ગમાં આવતા શહેરો જોવાલાયક સ્થળોમાનાં છે.

આ નદીના કિનારે આવેલા સેન્ટ લ્યુંઈસ શહેર ઉપર ૧૯૬૫મા વિખ્યાત આર્ચ બનેલો છે. ૬૨૦ ફૂટ ઊંચા આર્ચમાં જેમાં ૪૩,૦૦૦ ટન કોન્ક્રીટ અને લોખંડ સ્ટીલ વપરાએલા છે. આ ગેટવે આર્ક યુનાઈટેડ ને જોવા લોકો દુરદુર થી આવતા હોય છે.

20 મી સદી પછી મિસિસિપી નદીમાં આપણા દેશની અનેક નદીયોની માફક પ્રદૂષણ અને પર્યાવરણીય સમસ્યાઓનો અનુભવ થતો રહ્યો છે. જેમાં મેક્સિકોના ડેડ ઝોનની ખાડીમાં મુખ્ય ફાળો છે….ડેડ ઝોન એ વિશ્વના મહાસાગરો અને મોટા સરોવર નદીમાં લો-ઓક્સિજનને કારણે પ્રદૂષણ વાળા વિસ્તારો ગણાય છે. સમુદ્રીય મૃત ઝોન ગણાય છે. ન્યુ એર્લીન્સ થી ૧૦૦ માઈલ નીચે તરફ જતા આ નદી ગલ્ફ મેક્સિકોમાં મળે છે જ્યાં કૃષિ ધોવાણ અને ગટરના પાણીને કારણે પ્રદુષિત પાણી વધતું જાય છે.
પરિણામે જ્યાં અખાત અને નદીનું મિલન થયા છે ત્યાં બંને પાણીના રંગમાં ફેરફાર જોવા મળે છે. દરિયાનું પાણી ભૂરા રંગનું અને નદીનું ભૂખરું પાણી સ્પસ્ટ દેખાય છે. આ દ્રશ્ય ઉનાળામાં ખાસ જોવા મળે છે જે જોવા લાયક હોય છે. આ ડેડ ઝોન આશરે ૭૦૦૦ ચોરસમાઈલનો વિસ્તાર ધરાવે છે. જે દિવસે દિવસે વધતો જાય છે. આ પ્રદુષિત પાણીને કારણે દરિયાઈ જીવન ઉપર બહુ મોટી અસર થાય છે.
મિસિસિપી નદીમાં વિશ્વનું ચોથું સૌથી મોટું ડ્રેનેજ બેઝિન (વોટરશેડ અથવા પાણીનો સંગ્રહ” રચાએલ છે. આ બેસિનમાં યુ.એસ. ના રાજ્યો અને બે કેનેડિયન રાજ્યો જોડાએલા છે. જેમાં ૧,૨૪૫,૦૦૦ ચોરસ માઇલ ૩,૨૨૦,૦૦૦ કિમી થી વધુ જગ્યામાં પાણીનો સંગ્રહ થએલો છે. જ્યાં વધારાના પાણીને એકઠું કરીને એટલાન્ટિક મહાસાગર અને મેક્સિકોની અખાતમાં ખાલી થાય છે. જેથી પુર જેવા વિનાશને પણ ટાળી શકાય.

યુનાઇટેડ સ્ટેટ્સમાં, મિસિસિપી નદી, રૉકી પર્વતોની ખીણ અને એપલાચિયન પર્વતમાળીઓની ખીણ વચ્ચેના મોટાભાગના વિસ્તારને ડ્રેઇન કરે છે, વરસાદના પાણીને એકઠું કરીને દરિયામાં લઇ જઈ ઠાલવે છે. આ સિવાય બીજી ઘણી નદીઓના પાણીમાં આ ડ્રેનેજ પાણી ઠલવાઈ એટલાન્ટિક મહાસાગર અને મેક્સિકોની અખાત સુધી પાણીનો યોગ્ય નિકાસ કરે છે.

આટલું બંધન હોવા છતાં આ મહાસાગર સમી, અનેક રાજ્યોની જીવાદોરી સમી આ નદી જ્યારે પણ છલકાય છે ત્યારે ચારેબાજુ તબાહી મચાવી જાય છે.

ઑગસ્ટ 29, 2005 ના રોજ સવારે મિસિસિપી દરિયાકિનારા પર હેરીકેન કેટરીના નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે ત્યારે તેના અસરથી ગાંડીતુર બનેલી આ નદીએ આખું ન્યુ ઓર્લિયન્સ શહેર તબાહ કરી નાખ્યું હતું. આ વાવાઝોડાની તીવ્રતાની આગાહી મુજબ લગભગ ૯૦ ટકા શહેર ખાલી કરી નખાયું હતું. છતાં એક મીનીટમાં ૧૨૫ માઈલની ઝડપે એટલે કે ૨૦૫ કિલોમીટર નાં ફુંકાએલા પવન સાથેના વરસાદને કારણે ૨૦૦૫માં ૧૨૫ બિલિયન ડોલર્સ કરતા પણ વધુ નુકશાન થયું હતું, અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.. મિસિસિપી નદીના કારણે આ વિનાશ બેવડાયો હતો. હરિકેનનો પવન અને ધસારો ૧૭ કલાક ચાલ્યો હતો. આ સાથે નદીમાં આવેલા પુરને કારણે આખું ઐતિહાસિક શહેર નાશ પામ્યું હતું. કિનારાના બધાજ ગામ 90% થી વધુ એક કલાકમાં વહી ગયા ઘણી ઐતિહાસિક ઇમારતોનો નાશ થયો હતો. જાનમાલ સાથે થયેલા આ નુકસાનને કારણે લોકો ઘરબારવિહોણા થઈ ગયા હતા. હજારો લોકોને સેલ્ટર હોમમાં રહેવું પડ્યું હતું.

મિસિસિપીમાં 10 લાખથી વધુ લોકો આ વિનાશને કારણે પ્રભાવિત થયા હતા, આમ મિસિસિપી ગલ્ફ કોસ્ટનો વિનાશ થયો હતો. આગામી વિનાશ અને જીવનના નુકશાનને કારણે યુ.એસ.ના ઇતિહાસમાં આ તોફાનને સૌથી ખરાબ માનવામાં આવે છે. અંદાજે 1,200 લોકો તોફાનને કારણે મૃત્યુ પામ્યા હતા.
ઓગસ્ટ 2005 માં કેટરીનાએ મોટાભાગના શહેરનો નાશ થઇ ગયો હતો, છતાં એ પછી તુરંત ન્યૂ ઓર્લિયન્સનું પુનર્નિર્માણ શરુ થયું હતું. આજે આખું શહેર એક નવા સ્વરૂપે ખુબ સુંદર રીતે બંધાઈ ગયું છે. અહી કસીનો અને ઐતિહાસિક ઇમારતોને નવા સ્વરૂપે ફરી ઉભી કરી દેવાઈ છે. આ શહેરની ખાસિયત છે કે અહી આવેલી એક આખી લાંબી સ્ટ્રીટ ” બર્બન સ્ટ્રીટ” જેમાં બંને તરફ આવેલા બાર માટે પ્રખ્યાત છે. અનેક અલગ અલગ પ્રકારના બાર છે જેમાં લાઈવ બેન્ડ , જાઝ, કન્ટ્રી મ્યુઝીક, વગેરે નાઈટ ક્લબો સાંજ પડતા છલકાતી રહે છે. અહે ગે બાર, ટોપલેસ બાર જેવી બીજી ઘણી નાઈટ ક્લબો, બાર આવેલા છે. દર વર્ષે ૧૮ મીલીયન મુલાકાતીઓ આ શહેર અને આ સ્ટ્રીટના આકર્ષણને કારણે આવી રહ્યા છે. આજ કારણે ન્યુ ઓર્લિન્સ ઝડપભેર બેઠું થઇ ગયું.
આમ ખટમીઠાં સ્મરણો લઈને વહેતી જતી આ મિસિસિપિ નદીનાં ભૂતકાળમાં આવા કેટલાય અનુભવો ધરબાએલા છે. અને હજુ પણ કેટલાંય સારા ખોટા પ્રસંગો આપતી જાય છે. મે ૨૦૧૯માં જ આ નદી ઉપર આવેલા પુરને કારણે ન્યુ ઓરલીન્સ ફરી પાણીથી છલકાયું હતું. ઘણા લોકોએ ઘરબાર ગુમાવ્યા હતા. છતાં અમેરિકામાં જીવાદોરી સમાન આ નદી દરેકની માટે આગવું મહત્વ ધરાવે એ નક્કી છે..

 

રેડ વુડ ટ્રી

વૃક્ષોની વિવીધતા- રેખા વિનોદ પટેલ (ડેલાવર)

દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને વાહનોની વધતી જતો સંખ્યાને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું ચાલ્યું છે. તેમાય હવામાં ઊંચે ઓઝોનનું સ્તર પણ ચોંકાવનારી માત્રામાં ઘટતું જાય છે. આ માત્ર એક દેશની સમસ્યા નથી. ગ્લોબલ વોર્મિંગની ચારે તરફ સંભળાતી બુમો એ આજ કારણે છે તેમ માનવું જરાય અતિશયોક્તિ નથી. આવા સમયે વૃક્ષોની સાચવણી દ્વારા પર્યાવરણને બચાવી શકવાનો સહેલો ઉપાય છે.

લોકોમાં પર્યાવરણ તરફની જાગૃતિ વધે એ માટે જુન ૫ વિશ્વ પર્યાવરણ દિવસ (વલ્ડ એન્વાયરમેન્ટ) નક્કી કરાયો છે. વાતાવરણમાં હવાની શુધ્ધતા અને ઓક્સિજનનાં વધારા માટે વૃક્ષોની વાવણી અને જાળવણી ખુબ જરૂરી બની જાય છે. આ વાતને લોકોના ઘ્યાનમાં લાવવા માટે જુદાજુદા અભિયાન શરુ કરાયા છે.

આવા સમયે એક અલગ પ્રકારના વૃક્ષોના વડવા જેવા ” રેડ વુડ ટ્રી” વિષે જાણવું જોઈએ. અમેરિકામાં કુદરતે ઉદારતાથી સૌદર્ય બક્ષ્યું છે. તેના અલગ અલગ રાજ્યમાં કૈક નવીનતા જોવા મળે છે. તેમાંય ઇસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ એકબીજાથી સાવ ભિન્ન છે. આપણે ત્યાં સાઉથ અને નોર્થના રાજ્યોમાં મળતી ભાષાકીય અને પહેરવેશમાં અલગતા જોવા મળે તેવી ભિન્નતા નથી. પરંતુ ભૈગોલીક રીતે અને હવામાનની રીતે આ બંને કોસ્ટ એકબીજાથી વિપરીત કહી શકાય.

અહી ઉગતાં આ રેડ વુડનાં ઝાડને જરા ઠંડી અને ભેજવાળી હવા વધારે માફક આવે છે. અને એ આધારે તેની માટે નોર્થ કેલીફોર્નીયાનું વાતાવરણ અનુકુળ હોવાથી આ વૃક્ષો એ તરફ વધારે કરીને જોવા મળે છે. આ સ્ટેટની ભૈગોલીક સ્થિતિ ખુબજ જાણવા જેવી છે. કેલિફોર્નિયા અમેરિકામાં પશ્ચિમ બાજુએ આવેલું રાજ્ય છે. જે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે. આ રાજ્યની કુલ વસ્તી આશરે ૩.૯ કરોડ લોકોની છે. જ્યારે વિસ્તારની રીતે, અલાસ્કા અને ટેક્સાસ પછી તે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. જે ૪૨૩,૯૭૦ કિલોમીટરનો ઘેરાવો ઘરાવે છે.

આ આધારે ખુબજ વિશાળ એવા આ રાજ્યમાં વસ્તી ઘણી ઓછી કહેવાય. કુદરતી સૌદર્યથી ભરપુર આ રાજ્યને નોર્થ કેલીફોર્નીયા અને સાઉથ કેલીફોર્નીયા એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેની એક તરફ પેસેફીક સમુદ્ર કિનારો છે. લોસ એન્જેલસને સાઉથમાં અને સાંનફ્રાસીસકો શહેર, ઓકલેન્ડ, સેક્રામેંટો, સિયેરા નવાડા, યોસેમીતે વેલી, લેક તાહો, માઉન્ટ શાસ્તા મેમથ લેક્સ વગેરેને નોર્ધન કેલીફોર્નીયામાં મુકાયા છે. દરિયો, પહાડો, જંગલ અને રણ બધુજ એકજ સ્ટેટમાં આવેલું છે.
આ રેડ વુડના વૃક્ષો યોસેમીતેનાં નેશનલ પાર્કમાં અને ત્યાંથી નોર્થમાં સંતાકૃઝથી આગળ આવેલા રેડ વુડ નેશનલ પાર્ક, બીગ બેઝીન પાર્ક અને હેન્રી પાર્ક ભરેલો છે. તેના ઈતિહાસ ખુબ રસપ્રદ છે. આ વૃક્ષો ૧,૬૦ મિલિયન વર્ષો જુના એટલેકે ડાયનાસોરનાં જમાનાનાં છે. ડાયનાસોર તો ચાલ્યા ગયા પરંતુ તેમની હાજરી અપાવતા વૃક્ષો હજુ પણ ટકી રહ્યા છે.

અહી કુદરતી સૌદર્ય પૂરબહારમાં ફેલાએલું છે. આ રેડવુડ ના જંગલો લગભગ ૪૦૦ માઈલના દરિયા કિનારાને સુરક્ષિત રીતે સૌદર્ય બક્ષે છે. આજકાલની જનરેશને આધુનિક જીવન જીવવાના કોડ હોય છે જ્યારે અહી રહેતા લોકોને આધુનિકતા માફક નથી આવતી. પરિણામે તેઓ આ જીવનને યથાવત રાખવાની ગવર્મેન્ટને અપીલ કરે છે.

અમે જે દિવસે આ પાર્કની મુકાલાત લીધી એ દિવસે વાદળછાયું આભ હતું થોડો વરસાદ વરસીને હવામાં ભેજ છોડતો ગયો હતો. રેડવુડ નેશનલ પાર્કની ખુબસુરતી ખરેખર માણવા જેવી છે. ઊંચા પહોળા વૃક્ષો ઉપર ઝઝુમતાં વાદળો જાણે તેમના કાનમાં કઈ કહી રહ્યા હોય તેવો ભાસ કરાવતા હતા. હાઈકિંગ કરનારા માટે અહી ખાસ વ્યવસ્થા પણ કરાએલી છે. આ ઉપરાંત નજીકના વિસ્તારોમાં ફિશિંગ, બોટિંગ વગેરેની મનોરંજક પ્રવૃત્તિઓ ને કારણે આ તરફ આવતા દરેક મુલાકાતીઓ આ નેશનલ પાર્કમાં ગયા વિના પાછા ફરેજ નહિ.
આ જાયન્ટ્સ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બહાર નીકળતાં પહેલાં એક હાઇકિંગ ટૂર અથવા લેઝર બાઇક રાઇડ માટે ખાસ રૂટ બનાવાએલો છે.
આ રેડવુડ નેશનલ પાર્કમાં આજે પણ ઊંચામાં ઊંચું વૃક્ષ ૩૭૫ ફૂટ ઊંચું છે જેને મધર ઓફ ધ ફોરેસ્ટ કહેવાય છે. આ ૩૫ માળના ઊંચા બિલ્ડીંગ જેટલું લાગે. એવીજ રીતે એક વૃક્ષ ૧૬ ફૂટ પહોળું અને ૨૭૭ ફૂટ ઊંચું છે. આવા હજારો વૃક્ષો આ પાર્કમાં સચવાએલા છે. અહી ફરતાં એવુજ લાગે કે માયાવી મહાકાય જંગલોમાં ફરી રહ્યા છીએ. આ વૃક્ષોને કાળા ટામેટાં જેવા બીયા થાય છે. તેના મુળિયા ૧૦ થી ૧૫ ફૂટ ઊંડા અને ૬૦ થી ૮૦ ફૂટ વિસ્તરેલા હોય છે. જે ઊંચા વૃક્ષને જકડી રાખે છે.

આ વૃક્ષોની ઉંમર ૨૦૦૦ વર્ષ સુધીની નોંધાઈ છે. સામાન્ય રીતે હાલમાં તેમની આસરે ઉંમર ૬૦૦ થી ૭૦૦ વર્ષ ગણાય છે. આટલી બધી ઉંમર હોવાના કારણોમાં એક કારણ એ પણ છે કે આ વૃક્ષોનાં થડ બહુ જાડા હોવાથી રોગ આવતા નથી સાથે ઊંચાઈ પણ વધારે છે માટે કીડાઓ તેને કોતરી શકતા નથી. વાઈલ્ડ ફાયર (જંગલની આગમાં સળગીને જમીનદોસ્ત થતા નથી.

આ વૃક્ષો કેલીફોર્નીયાના જંગલોમાં હજુ પણ સચવાઈ રહ્યા છે તેનું કારણ તેની ઊંચાઈ છે. કારણ કેલીફોર્નીયા વાઈલ્ડ ફાયર માટે આખીય દુનિયામાં પ્રખ્યાત છે.

કેલીફોર્નીયામાં જંગલો પુષ્કળ પ્રમાણમાં છે. ઉપરાંત અહી ડ્રાય એર વહેતી હોય છે પરિણામે સ્પ્રિંગથી લઇ ઓટમ એટલે કે પાનખર સુધીના સમયમાં અહી વાઈલ્ડફાયર થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. આ સમયમાં લાગતી આગમાં સુકી અને સ્ટ્રોંગ હવાને કારણે ફેલાવો ઝડપી થતો હોય છે. વધારે પડતી આગ થંદર સ્ટ્રોમમાં વીજળી પડવાને કારણે કે સુકા પાંદડાનાં ઢગલાંઓને લીધે અને વધારે પડતી માનવસર્જિત ભૂલને કારણે લાગતી હોય છે.

અમેરિકામાં વર્ષે ૩ બિલિયન કરતા પણ વધારે ખર્ચ આ ફાયરને કંટ્રોલ કરવામાં થઇ જાય છે. જોકે અહી જાન હાની પ્રમાણમાં ઓછી થાય છે. છતાય લાખો એકર્સમાં લાગતી આ આગના કારણે સેંકડો વૃક્ષોનો નાશ થાય છે. એકલા અમેરિકામાં આશરે એક લાખ વાઇલ્ડ ફાયર થયા છે જેમાં પાંચ મિલિયન એકર્સ જેટલી જમીન ડેમેજ થઈ છે. આ આગ ફેલાય ત્યારે માઈલો સુધી કાર્બંમોનોકસાઈડ અને હીટને કારણે અહી રહેતા લોકો અને ખેતીને નુકશાન થાય છે. આવા વખતે લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડે છે.

અમેરિકાની વાઈલ્ડ ફાયર હિસ્ટ્રી પણ વાઈલ્ડ છે. ૧૮૨૫માં લાગેલી આગમાં ૩ મિલિયન (૩૦ લાખ)એકર જમીન સળગતું રણ બની ગઈ હતી. ૧૮૭૧મ મીશીગનમાં ૨.૫ મિલિયન અને ૧૯૧૦ કેલીફોર્નીયામાં ૩ મિલિયન એકર્સ જમીન ઘમધમી ઉઠી હતી. વધારે પડતા ફાયર આગ મોન્ટાના,આઈડાહો ,વોશીન્ગટન ,વાયોમીંગ કોલોરાડો ,ઓરેગોન ,ઉટાહ,ન્યુ મેક્સિકો અને ખાસ તો કેલીફોર્નીયાના જંગલોમાં લાગે છે. અહી કાયમ વાઈલ્ડફાયર સળગતું હોય છે. આવા વિસ્તારોમાં તો માનવ તો શું પશુ પંખી પણ જોવા મળતા નથી.

પાનખરમાં સધર્ન કેલીફોર્નીયા અને નોધર્ન કેલીફોર્નીયામાં જંગલો ઉપરાંત અહી પર્વતો અને રણ પણ આવેલા છે પરિણામે ગરમ અને ડ્રાય એરના દબાણનો ઘેરાવો વધી જાય છે અને પરિણામે ફાયર ટોર્નેડો રચાય છે અને આગ ઝડપથી આખાય જંગલમાં ફેલાઈ જાય છે, અહી દરેક વાઈલ્ડ ફાયરને અલગ અલગ નામ આપવામાં આવે છે જેનાથી તેના રેકોર્ડ નોંધી શકાય. અહી સહુથી જોખમી કામ ફાયર ફાઇટર્સનું રહે છે.

આજ સુધીના વાઈલ્ડ ફાયરનો કરુણ ઈતિહાસ છે ૩૦ જુન ૨૦૧૩માં એરિઝોનામાં લાગેલી આગ. જેમાં લોકોને બચાવતા અને આગ હોલાવતા ૧૯ ફાયર ફાઈટર જીવતા સળગી ગયા હતા. તે વખતે પવન બહુ ઝડપી હતો અને ભારે માત્રામાં લાગેલી આગને કંટ્રોલમાં લાવવા પ્રયત્નશીલ ૧૯ ફાયર ફાઈટર ચારે બાજુથી આગમાં ઘેરાઈ ગયા હતા. પુરતા પ્રયત્નો છતાં પણ તેઓ જાતને આગમાં હોમાતી બચાવી શક્યા નહોતા અને આખી આ ટુકડી જીવતી હોમાઈ ગઈ હતી .

છેલ્લા કેટલાક વર્ષોમાં વાઈલ્ડફાયર ચાર ગણું વધી ગયું છે. દર વર્ષે સરેરાશ ૮૦ હજાર વાઈલ્ડફાયર નોંધાય છે, જેનાં પરિણામે લાખો હેકટર જમીન સળગતું રણ બની જાય છે. આઠ વર્ષમાં ૧૦ મીલીયન એકર લેન્ડ ડેમેજ થઈ છે અને લાખો વૃક્ષો રાખમાં ફેરવાઈ ગયા છે આ બધા ક્લાઈમેટને અસર કરતા પરિબળો છે. જેને આપણે ગ્લોબલ વોર્મિંગનો એક ભાગ કહી શકીએ છીએ.

આવા ભયંકર વાતાવરણ વચ્ચે પણ આ વૃક્ષો ટકી રહ્યા છે, તે વાત પણ અચંબિત કરી મુકે છે. જોકે આ વૃક્ષોની સાચવણી માટે અહીની ગવર્મેન્ટ ચોક્કસ ફંડની ફાળવણી કરે છે. જેના કારણે તેમની ઉંમર વધી શકે. અહી રહેતા લોકો માટે પણ આવા વૃક્ષો ગર્વનો વિષય બન્યો હોવાથી તેઓ પણ પોતાનું કર્તવ્ય સમજીને આ કાર્યમાં મદદ રૂપ થાય છે. આ વાત પણ ભૂલવા જેવી નથી કે એક માત્ર ગવર્મેન્ટ કે આયોજિત કામદારોથી કોઈ પણ દેશની મહામુલી સંપતિ સચવાતી નથી. એ માટે જનજાગૃતિ પણ જરૂરી છે. ” વૃક્ષો રોપાવો, પર્યાવરણ બચાવો ” સાર્થક કરવા સહુએ સાથે મળીને ઝુંબેશમાં જોડાવું રહ્યું.
રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર અને ઓલ્ડેજ હોમ- રેખા પટેલ (ડેલાવર)

હાથ પગ ચાલતા હોય ત્યારે જે માણસે જિંદગીને છલોછલ માણી હોય એની માટે એકલતા, વૃદ્ધાવસ્થા અને બીમારી આ ત્રણનું એક સાથે આવવું, એટેલે જાણે નર્કમાં હોવાનો અહેસાસ. આવી સ્થિતિને જેઓ સહજતાથી સ્વીકારી લેતા હોય તેમની માટે આ અસહ્ય નથી. પરંતુ જેઓ સદાય કોઈના સંગાથમાં છત્રછાયા હેઠળ જીવ્યા હોય તેની માટે આ સ્થિતિ દયાજનક બની જાય છે.

સુધીરભાઈ અને તેમના પત્ની પંચાવનની આસપાસ અહી રહેતા દીકરા અને વહુ સાથે બાકીનું જીવન વ્યતીત કરવા આવી પહોચ્યાં. દીકરાના ઘરે બે બાળકો હતા, દીકરા અને વહુને પણ ઘર અને બાળકો માટે વડીલોની જરૂર હતી આથી આથી જીવન સરસ વીતતું રહ્યું. સુધીરભાઈ ભણેલા હતા આથી અહી એક સ્ટોરમાં જોબ પણ મળી ગઈ. જૂની ગાડી પણ લઇ આવ્યા. ટુંકમાં અમેરિકામાં વિકેન્ડ પોતાની મરજી મુજબ જીવી લેતા. પંચોતેર વર્ષે પત્નીના જવાથી તે સાવ એકલા થઇ ગયા. દીકરો અને વહુ નોકરી કરતા અને સમય જતા બંને બાળકો યુવાન થતા પોતપોતાની જીંદગીમાં વ્યસ્ત રહેવા લાગ્યા. સુધીરભાઈ પાસે હવે નોકરી પણ નહોતી ઘરે એકલવાયા બીમાર રહેતા આ વડીલ બહુ ચીડિયા થઈ ગયા.

તેમની આ હાલત જોઈ દીકરાને દુઃખ થતું. છેવટે તેમને કોઈએ નજીકના ટાઉનમાં ચાલતા એડલ્ટ ડે કેરની વાત કરી. અમેરિકામાં પાંસઠ વર્ષ પછી ઓછી આવક ઘરાવતા કે ડિસેબલ લોકોને મેડીકેડ અપાય છે. જે પ્રોગ્રામનાં ભાગ રૂપે આવા વૃધ્ધો માટે ખાસ એડલ્ટ ડે કેરની વ્યવસ્થા હોય છે.
આ ડે કેર સેન્ટર સર્વિસ કારની વ્યવસ્થા કરતા હોય છે જેમાં વૃધ્ધોને ઘરે પીકઅપ અને ડ્રોપ કરવા માટે આવે છે. દિવસના પાંચ કલાક તેઓ ત્યાં રખાય છે. જેથી તેમનો આ સમય હસી ખુશીમાં વીતી જાય.
દીકરાએ તેના પિતાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી. સુધીરભાઈ માટે આ વ્યવસ્થા આશીર્વાદ સમી પુરવાર થઈ.
આવા સેન્ટરોમાં મઝાની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અહી આવતા વડીલોને હળવી એકસરસાઈઝ કરાવે છે,ગેમ રમાડે છે. સાથે ભજન આરતી સાથે સિનેમા પણ બતાવે છે. ક્યારેક બહાર શોપીંગમાં પણ લઇ જવાય છે.
અમેરિકામાં ઘણા મોટા શહેરોમાં આવા એડલ્ટ ડે કેર ચાલતા હોય છે. કેટલાક માત્ર ઇન્ડિયન્સ માટેના અલગ પણ હોય છે. તેમનું મુખ્ય ધ્યેય વડીલોને સુવિધા સાથે ઘર જેવું વાતાવરણ તેમની જિંદગીના પાછલા વર્ષોને ખુશીથી ભરી દેતા હોય છે. કારણ અહી તેને તેમના જેવા હમઉમ્ર મિત્રો મળી જાય છે.જે તેમની એકલતા ભાંગે છે અને જિંદગી જીવવા જેવી લાગે છે.

આવીજ રીતે અમેરિકામાં એડલ્ટ નર્સિંગહોમ કેર પણ ચાલે છે. આ નર્સિંગહોમ એટલે કે પાંસઠ પછી ડિસેબલ થયેલાં વ્યક્તિઓનું કાયમી રહેઠાણ. જ્યાં આવ્યા પછી ભાગ્યેજ ઘરે પાછા જઈ શકે છે. આજ ઘર અને આજ દવાખાનું બની જતું હોય છે.
અહી આવતા વડીલો પ્રેમ અને હુંફના હકદાર હોય છે. કેટલાક તો સાવ પથારીવશ હોય છે તેમને સુતા સુતા ટીવી,સંગીત અને વાંચન જેવી વ્યવસ્થા થતી હોય છે.

અહી ૨૪ કલાકની સુવિધાઓ આપવામાં આવે છે, કાયમ અહી રહેવાનું હોવાથી તેમને ઘર જેવું જ વાતાવરણ મળવું જોઈએ તેમ વિચારી અહી સવાર સાંજની આરતીથી માંડી બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જે વૃધ્ધો ઘરે એકલતાનો ભોગ બની રહ્યા હોય કે ગંભીર બીમારીમાં ઘરે તેમની યોગ્ય સારવાર ના થઇ શકતી હોય,તેવા દર્દીઓ માટે આવી જગ્યાઓ ઘર કરતા પણ વધારે પોતીકી બની જાય છે. કાયમી રહેતા વૃધ્ધો એકમેકના સાથી બની જાય છે અને સુખેથી પાછલી ઉંમર વિતાવે છે. છતાં પણ સ્વજનોને ચોક્કસ યાદ કરતા હોય છે. આથી વર્ષમાં બે વાર અહીં રહેતાં વૃધ્ધોના પરિવારને એકઠાં કરવામાં આવે છે.આમ કોમર્સિયલ ચાલતાં આવા સેન્ટરો અંગત રીતે માનવતાનું કામ પણ કરી રહ્યા હોય છે.

વૃઘ્ઘવસ્થા એક એવી બીમારી છે જે દરેકને આવીને વળગવાની છે “આજે મારો વારો તો કાલે તારો વારો ” જેવું છે. આથી કોઈ પણ વૃદ્ધની લાચારીને જોઈ આડી આંખ કરવાને બદલે તેમને અને તેમની જરૂરીયાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વડીલો તેમની ઢળતી ઉંમરે હૂંફ અને સમય માગે છે. છતાં પણ એમ લાગે કે આપણે આટલું નથી કરી શકતા ત્યારે અસહાયતા અનુભવતા વૃધ્ધો માટે આવા ડેકેર સેન્ટર કે નર્સિગહોમ કેર મંદિર સમા બની જાય છે. લોક શું કહેશે તે ભૂલીને તેમને ત્યાં જવાની પ્રેરણા આપવી જરૂરી બને છે. જેથી તેઓ તેમની આ અવસ્થાને સુખમય જીવી શકે.

જે સંતાનો માટે પોતાની જરૂરીયાતને સિમિત રાખીને સંતાનોને કોઇ ઉણપ દેખાવા દીધી ના હોય એવાં માતા પિતા માટે તેમની પાછલી ઉમરમાં અવહેલના કરે છે ત્યારે પારિવારીક મુલ્યોનું અવમુલ્યન ચોક્ક્સ થાય છે અને માનવતાને એક ડાધ ચોક્ક્સ લાગે છે.
ફ્લોરીડામાં આવેલું શાંતિનિકેતન પણ આવુજ રેસિડન્સ છે જેનું લક્ષ્ય ખાસ કરીને પંચાવન વર્ષથી વધારે ઉંમર ધરાવતા રીટાયર્ડ મેન્ટ ભોગવતા લોકો જેમાં સમગ્ર વિશ્વના લોકો, તેમાય ખાસ કરીને અમેરિકામાં વસવાટ કરતા ભારતીય નાગરીકો માટે સારી ગુણવત્તાયુક્ત જીવનશૈલીને પૂરી પાડવા માટેની યોજના છે. જેમાં તેમને તેમની જરૂરીયાત મુજબ ઘર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
૨૦૦૬મા તેમને આખા અમેરિકામાં ફરીને એ જાણવા પ્રયત્ન કર્યો કે વડીલોની આખરી સમયમાં માંગ શું હોય છે તેમની ઈચ્છા કેવી રીતે બાકીનું જીવન વિતાવવું છે. અને તે પ્રમાણે તેમની માંગ પ્રમાણે આખીય યોજના હાથ થરી.

સહુ પ્રથમ આજથી દસ વર્ષ પહેલા મૂળ ચીન્નાઈના વતની ઇગી ઇગ્નટીયસ એ શાંતિનિકેતન રેસીડેન્સીની શરૂઆત ફ્લોરીડાના ઓરલાન્ડો શહેરથી ૪૦ માઈલ દુર તવેર્સમાં ૨૦૦૮માં ૫૭ કોન્ડો હાઉસથી શરુ કરી હતી. આની બાંધણી ખુબ સુવ્યવસ્થિત રીતે ઉંમર વાળા વૃધ્ધોને તકલીફ ના પડે તે રીતે કરાઈ છે.
આ સમય દરમિયાન અમેરિકામાં આવેલા મની ક્રાઈસીસમાં ઇગી ઇગ્નટીયસ ને ખુબ તકલીફ પડી હતી. છેવટે પ્રથમ દસ રેસીડન્સી તરીકે મળી આવેલા ઇન્વેસ્ટરોની અને બીજા ઇન્વેસ્ટરોની મદદથી ૨૦૧૧માં આખો પ્રોજેક્ટ પૂરો થયો. આજે તેમાં ૩૦૦૦ થી પણ વધારે વૃધ્ધો અહી ખુશી ખુશી રહે છે. આ પ્રોજેક્ટ નું નામ તેમની સ્વર્ગસ્થ પત્ની શાંતિના નામ ઉપર થી રખાયું છે.

આ મકાનોની વચમાં એક મોટું ક્લબ હાઉસ બનાવેલું છે. જેમાં જીમ, લાઈબ્રેરી, પૂજા આરતી માટે મંદિર , યોગા રૂમ તથા એક મોટા હોલમાં સવાર બપોર અને સાંજ જમવા તથા નાસ્તા માટે ડાઈનીંગ રૂમ આવેલા છે. સાંજે ડીનર પહેલાના હેપી અવર્સમાં કેટલાય વૃદ્ધો ક્લબ હાઉસની બહાર ગપાટા મારતા જોવા મળે છે ત્યારે ગામની બહાર આવેલો ચોતરો બરાબર યાદ આવી જાય છે. તેવીજ અનુભૂતિ થી ખુશી થઇ આવે છે.
સામાન્ય રીતે અહી રહેનારે સહુ પ્રથમ ઘર ખરીદી લેવાનું હોય છે ત્યાર બાદ તેની ઈચ્છા પ્રમાણે ઘરે રાંધી શકે અથવાતો અહી જમવાનું બંધાવી શકે છે. અથવા જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ૪૮ કલાક પહેલા ઈમેલ દ્વારા જમવામાં હાજરી આપશે તેમ જણાવી દેવાનું હોય છે. અને એ પ્રમાણે ડોલર્સ લેવામાં આવે છે. અઠવાડિયામાં બે ત્રણ સાંજ જમવાનું પત્યા પછી કઈકને કઈ કાર્યક્રમોની યોજાતા રહે છે.

સામાન્ય રીતે આખો મહિનો અહી દરેક ટાંક જમવા અને રહેવાનો બે જણનો ૧૨૦૦ ડોલર્સ ખર્ચ આવતો હોય છે. જેમાં બધુજ આવી જાય. આખી લાઈફ નોકરી કરી હોય તો પતિપત્નીને ભેગા મળીને મહીને આનાથી વધારે રીટાયર્ડમેન્ટ આવતું હોય છે આથી તે ખર્ચ કોઈને ખાસ ભારે પડતો નથી.

ત્યાર બાદ બીજા ૧૧૦ કોન્ડો બન્યા. માંગ વધતા ફરી ત્રીજા પ્રોજેક્ટમાં ફરી ૧૧૦ બન્યા જેમાં હવે ત્રણ બેડરૂમના વધારે સહુલીયત વાળા ઘર બનાવાયા છે. હવે બીમાર અને અસક્ત વૃધ્ધો માટે નર્સિંગહોમ પણ ટૂંક સમયમાં બની રહ્યું છે. આનાથી એક વધારાનો ફાયદો એ થશે કે પોતાની જાતે કઈ ના કરી શકે તેવા વૃધ્ધોને કોઈ ઓરડાના ખુણામાં સેવા વગર નહિ રહેવું પડે. અહી ડોક્ટર્સ અને નર્સોની સેવા પણ ઉપલબ્ધ રહેશે.

ઇગી ઇગ્નટીયસ સાથે થયેલી વાત ચિત મુજબ તેમને જણાવ્યું હતું કે આવ રહેઠાણ બનાવવાનું સ્વપ્ન બાળપણ થી મનમાં રોપાયું હતું જ્યારે એ ચિન્નાઈના તેમના ઘરે રહેતા હતા. ત્યારે ઘરે કામ કરતી બાઈ ઘરડી અને બીમાર થઇ જતા તેને નોકરના કવાટર્સમાં રહેવાની અને બે ટાઈમના જમવાની સહુલીયત આપી હતી આ ઉપરાંત ત્યાં તેની સાથે કોઈ વાત કરવા કે દુઃખ વહેચવા કોઈ ખાસ હતું નહિ.
દિવસે દિવસે તબિયત બગડતી હતી. તેવામાં ત્યાંના ચર્ચની નન આવીને તે બાઈને તેમની સંસ્થામાં લઇ ગઈ.
ચમત્કારિક રીતે તે બીમાર બાઈની તબિયતમાં દેખીતો સુધારો આવી ગયો. બસ ત્યારેથી આ સ્વપ્ન મનમાં લઈને તેઓ ફરતા હતા.

શરૂઆતમાં તેમના આ પ્રોજેક્ટ ઉપર કોઈનેય ખાસ વિશ્વાસ નહોતો અવાતો. કોઈ પોતાનું ઘર કુટુંબ અને કાયમી જગ્યા છોડી દુર છેક ફ્લોરીડા કેવી રીતે રહેવા જઈ શકાય ?
શાંતિનિકેતનમાં વળતા પોતાના સ્વજનો સાથે તેમના બાળકો કે મહેમાન ત્યાં થોડા સમાય માટે રહેવા જઈ શકે છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ૩૦ દિવસ સુધી દાદા દાદી કે નાના નાની સાથે રહી શકે છે.

અહી રહેવા આવેલા વડીલો સાથે પ્રત્યક્ષ મુકાલાત દરમિયાન અહીની વ્યવસ્થા વિષે ખુબ જાણવા મળ્યું તે આધારે તેઓ અહી આવીને ખુબજ ખુશ છે. તેમની જૂની જીંદગી કરતા આ ખુબ મઝાની આનંદ ભરી લાગે છે.
ઇગીના જણાવ્યા પ્રમાણે જેઓ અમેરિકાની સમૃદ્ધિ વચમાં પણ એકલતામાં રહેતા હોય તેમની માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. એક રીતે આ વાત સાચી પણ છે.

“મારી ધારણાથી તદ્દન વિરુદ્ધ મેં અહી દરેકના ચહેરા ઉપર માયુસીને બદલે ખુશમિજાજી અને જિંદગીના આ વર્ષોને મનભરી જીવી લેવાની ઝંખના અને ખુશી જોઈ છે.”