પલ પલ..સમય તું ધીરેધીરે ચલ..સારી દુનિયા છોડ કે હમ તો આગે જાએ નીકલ.
આ ગીત સાંભંળું ત્યારે મને અચુક વિચાર આવે છે…શું સમયને રોકીને આપણે આગળ નીકળી જવા માટે સક્ષમ છીએ..હક્કીતમાં સાચો બાદશાહ તો સમય જ છે.અને આપણે એનાં ગુલામ છીએ..એટલે હમેશાં સમય સામે આપણે બાઅદબ ઝુકવું પડે છે.
સમય ક્યારેય અટકતો નથી અને બુઢ્ઢો થતો નથી . આપણે બુઠ્ઠા થઈએ છીએ માણસ બુઢ્ઢો થાય છે.જે જન્મે છે તે દરેક જીવ મૃત્યુ પણ પામે છે.કોની જીવન યાત્રા કેટલી લાંબી છે ટુંકી છે તે પણ જન્મ લેતા પહેલા જ નક્કી થયેલુ હોય છે.અને નિશ્ચિત સમયે તે પ્રમાણે એને દુનિયામાંથી વિદાય થવું પડે છે.
બહુ નાની હતી એ ઉમરમાં કોઈકે મારું ભવિષ્ય ભાખ્યું હતું કે તારી જીવન રેખા ટુંકી છે.ત્યારે એ વાતના અર્થને હું સમજી શકી નહોતી.પણ જેમજેમ સમય વીતતો ગયો ત્યારે મને લાગ્યું કે કશુક એવું કરવું જોઈએ કે જેથી હું અત્યારે હું હયાત છું અને જેટલો લોકો મને પ્રેમ આપે છે તેટલો જ પ્રેમ મને મરણ બાદ પણ એટલો જ પ્રેમ મળે.પેલી વાત કેટલી સાચી તેની તો મને ખબર નથી પણ એ એક જ વાતે મને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું કે મારા લખાણ દ્વારા સમાજમાં,અને મારા વાણી અને વર્તન દ્વારા લોકોના દિલ ઉપર મારી મીઠી છાપ છોડતી જાઉં. બસ ત્યાર પછી આ બંને બાજુ ઓ તરફ મારા મતે મારી પ્રગતિ મારી ઇચ્છા પ્રમાણે રહી છે.
લેખન એક એવી કલા છે જેમાં તમે એવાં ઓતપ્રોત થઇ જાઓ છો કે સમયનું ભાન નથી રહેતું.આ કલા તમને બહું ઉંચા સ્થાને બેસાડે છે.પણ એનો મતલબ એ નથી કે મારી આજુબાજુનું બધું ભૂલીને લેખન પ્રવૃતિમાં ગળાડુબ રહુ.
લેખન પ્રવૃતિનાં કારણે મારા મુળ સ્થાન સાથે કદી છેડછાડ ન કરી શકુ. કારણકે સમાજમાં મારૂં માનસન્માન પામવાં માટે મારા ઘર પરિવાર કે મારા નજીક સ્નેહીઓ સાથે અન્યાય ના કરી શકુ.મારી પ્રાથમિક ફરજ એક પત્નીની,એક માતાની,અને એક સ્નેહાળ માનવીની છે…
મારું લખાણ તો તમે સર્વે વાંચો જ છો અને મારા છેલ્લા વરસોનાં લખાણ ઉપરથી અને મારા સ્વભાવના ફેરફાર મારી આજુબાજુ રહેલા જોઈ સમજી શકે છે
=> આ ફેરફાર બાબતે અહીં કોમેન્ટમાં લખી શકો છો 🙂
રૂક જાના નહિ તું કહી હાર કે.કાંટો પે ચલકે મીલેંગે સાયે બહાર કે.
સમયને પગ નથી છતાં એ સતત ચાલતો રહે છે વણથંભ્યે .સમયને અવાજ નથી છતાં પણ તે સતત કઈક પૂછતો રહે છે,કહેતો રહે છે,સમજાવતો રહે છે. સમયને સમજીને , સારો છે કે ખરાબ છે તે વિચાર્યા વિના કોઈ ઘ્યેયને આગળ રાખીને સમય સાથે તાલ મિલાવી ચાલનારા કદી સમયથી પાછા પડતા નથી.તેઓ જીવનમાં કઈક કર્યાનો સંતોષ મેળવીને જાય છે.
તમે જો સમયને પ્રેમ કરશો તો સમય તમને પ્રેમ અપાવશે …. એનો અર્થ એ છે કે સમયને સમજીને તેની ગતિમાં રહીને જો આપણે સારા કાર્ય કરીશું તો તેના ફળ સ્વરૂપે સમાજ તરફથી માન અને લોકોની લાગણીઓ નાં સ્નેહ છાંટણાનો અનુભવ જરૂર કરાવશે
ઇક દિન બીક જાયેંગે માટી કે મોલ ,જગમે રહે જાએગે પ્યારે તેરે બોલ ….
જ્યારે આપણને લાગે છે કે સમય ખૂબ ઓછો રહ્યો છે.ત્યારે દુઃખી કે બેચેન બની જઈયે છીએ.મોટા ભાગનો સમય આપણે આળસમાં કાઢી નાખીએ છીએ.આથી હમેશા મનુષ્યને છેવટ લાગી સમય ઓછો પડ્યાનો વસવસો રહી જાય છે.માટે મળતા બધા સમયનો યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ.
જ્યારે તમે સાવ નિષ્ક્રિય બનીને બેઠા હશો તો ત્યારે સમય પસાર નથી થતો અને નિરસતાનો અનુભવ થાય છે અને જ્યારે તમે આગળ વધો છો કઈક નવી પ્રવૃત્તિ કરતા રહો છો ત્યારે તમારું મન પ્રફુલ્લિત રહે છે। .જો તમે ઊંડાણથી વિચારો તો “તમે પોતેજ સમય છો ”
સમય સાથે તાલમેલ સાઘવાનો સહેલો ઉપાય છે.જુનું બધું જલ્દી ભૂલી જાઓ.જુના દુઃખ શોકને મનમાં દબાવો નહી.પરતું તેને અતીતના સંભારણા રૂપે ગણી આગળ વધો. જો અતીતમાં દુઃખ મળ્યું હોત તો તેમાંથી શીખ લો અને જો ખુશી મળી હોય તો મીઠાસને તમારા મહી ઉતારો.પણ તમે યાદોના કુવામાં બેઠા છો એવું ક્યારેય ના વિચારો.દરેકે મુવ ઓનની સ્થિતિ અપનાવવી જોઈએ.
પણ મિત્રો મુવ ઓનનો મતલબ એ નથી કે તમે જે પગથીયા પરથી આગળ વધ્યા છો.એ પગથીયાને ભૂલી જાઓ.સમય એક વાત શીખવે છે.તમારા કપરા સમયમાં જે લોકો કામમાં આવ્યા છે તેને ભૂલશો નહી.
જે તમારો સાથે કપરી પરિસ્થિતિમાં છોડી ગયા છે,એને પણ ભૂલશો નહી કારણકે આ જીવનમાં આગળ વધવાં માટે અને ક્યાં રોકાવું એ ચોક્કસપણે શીખવે છે.
જબ ચીડિયા ચુગ ગઈ ખેત અબ પછતાવે ક્યા હોવત હૈ………..
જે કામ આજે કરવાનું છે તેને બને ત્યાં સુધી કાલ ઉપર ટાળવાની ભૂલ નાં કરાવી જોઈએ. કારણકે આવતી કાલ કોઈએ જોઈ નથી.અતીતના ગર્ભમાં શું ઘરબાએલું છે.તેની કોઈને ક્યા ખબર હોય છે.?ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે માણસ જ્યારે જિવિત હોય આપણી આજુબાજુ હોય, આ વ્યકિતીની હાજરી હોય ત્યારે તેને કેમ છો પણ કહેતા નથી.તેનાં સુખ દુઃખની પરવા સુધ્ધાં કરવાનું ચુકી જઇએ છીએ.એ જ માણસ જ્યારે મૃત્યુ પામે કે જીવનમાંથી એ વ્યકિત દૂર થઇ ગઇ.પછી આપણે તેના માટે વખાણોની ઝડી વરસાવી છીએ.તેના માટે અપાર સહાનુભુતી બતાવીએ છીએ.. પણ એ બધું એનાં મરણ પછી કે જે તે વ્યકિતનાં સાથ છુટયાં પછી શું કામનું? જ્યારે સમય હતો ત્યારે આપણે આપણી ફરજ ચુકી ગયા અને હવે તે આત્માને કે એ સ્નેહીને તમારા સ્નેહની કે પ્રેમની કોઈ કીમત રહેતી નથી જે આપણે પ્રદર્શિત કરીએ છીએ.
રોજ સવારે જાગૃત થાઓ ત્યારે વિચારો કે એક નૂતન દિવસ ની શરૂવાત થઇ છે તેને નવેસરથી શણગારો.રોજ સાજે પડે આખા દિવસના કર્મોનું સરવૈયું કાઢો,એટલે તમે તરત સમજી સકશો કે આજે સમયનો સદુપયોગ થયો કે દુરુપયોગ.?
દરેક વ્યક્તિ જીવ જંતુ પુષ્પ વૃક્ષ એટલેકે જળ ચેતન બધુજ સમય સાથે થોડું થોડું બદલતું રહે છે.સમયની સાથે માણસ બદલાતો જાય છે.. તેના શરીરનો દેખાવ,તેના વિચારો,તેનો સ્વભાવ,તેની લાગણી,રહેણીકરણી અને છેવટ લગાવ સુધ્ધા બદલાય છે.
ઉંમરનો થાક અને જીવન આખાના નીચોડ રૂપે સમય જતા માણસના વિચારોમાં પણ પરિવર્તન આવતાં રહે છે.સમયની સાથે સુખની પરિભાષાઓ પણ બદલતી રાખવી પડે છે. કારણ કે જુના સમયમાં જે વસ્તુંઓ જરૂરીયાત હતી તેના બદલે તમારી સ્થિતિ અને સ્થાન પ્રમાણે તે વસ્તું અને જરૂરયાત બદલાય છે.આ જ સમયની પરિભાષા છે.સમય પ્રમાણે ચાલો. સમય આપણને સંબધોથી લઇને વ્યકિત કે આપણા કામ સાથે બાંધછોડ કરતા પણ શીખવી જાય છે.
સમય બહુ ઓછો છે.કારણકે કામ કરવા માટે ઘણું છે.બસ આજ વિચારી કરતા રહો તો પ્રગતિ નિશ્ચિત છે.
રેખા વીનોદ પટેલ (વિનોદિની)